ગુજરાતમાં 'લવ જેહાદ' કાયદા અંગે હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય, અમુક કલમોની અમલવારી પર મૂક્યો સ્ટે

Update: 2021-08-19 09:46 GMT

ગુજરાતમાં 'લવ જેહાદ'ના કાયદાના લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે આ કાયદાની અમુક કલમોની અમલવારી પર રોક લગાવી દીધી છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે હાલ મનાઈ હુમલો ફરમાવી દીધો છે. સાથે હાઇકોર્ટે આદેશ કર્યો છે કે આંતરધર્મીય લગ્નના કિસ્સામાં માત્ર લગ્નના આધાર પર ફરિયાદ દાખલ થઈ શકશે નહીં. આવા કિસ્સામાં બળજબરી, દબાણ કે લોભ-લાલચ આપીને લગ્ન થયા છે તેવું સાબિત કરવું પડશે. જે બાદમાં જ ફરિયાદ દાખલ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધર્મ પરિવર્તનના કાયદામાં કરેલા સુધારા તેમજ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવ જેહાદના કાયદોને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

આ અંગે સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી હતી.હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેંચે ગત સુનાવણી વખતે સરકારને નોટિસ પાઠવી વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટે સરકારને એ મામલે ખુલાસો પૂછ્યો હતો કે, "લોભ-લાલચ કે બળજબરીથી કરવામાં આવતું ધર્મ પરિવર્તન યોગ્ય નથી તે સમજી શકાય તેમ છે, પરંતુ કોઈ લગ્ન કરવા માટે જ ધર્મ પરિવર્તન કરે તો શું તે પણ ગુનો છે.?

રાજ્યમાં લોભ-લાલચ, બળજબરી પૂર્વક કોઇ વ્યક્તિનું ધર્મ પરિવર્તન ન કરાવાય તેમજ આવી પ્રવૃતિ પર રોક લાગે તે માટે રાજ્ય સરકારે વિધાનસભામાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ-2003 રજૂ કર્યું હતું. લવ જેહાદનો કાયદાનો રાજ્યમાં 15મી જૂનથી અમલી બન્યો હતો. આ કાયદામાં સુધારા સાથે એવી જોગવાઇ કરાઇ છે કે, ફક્ત ધર્મ પરિવર્તનના હેતુથી કરાયેલાં લગ્ન ફેમીલી કોર્ટ અથવા ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.

Tags:    

Similar News