નવસારી: કાર પર જીવંત વીજ તાર પડતાં યુવાનનું મોત,પોલીસે વીજ કંપની પાસે માંગ્યો જવાબ
નવસારી તાલુકાના મહુડી ગામનો યુવાનની મારૂતિ વાન પર એકાએક લાઈવ વીજતાર પડતાં યુવાનને જોરદાર ઝટકો લાગ્યો હતો.
નવસારી તાલુકાના મહુડી ગામનો યુવાનની મારૂતિ વાન પર એકાએક લાઈવ વીજતાર પડતાં યુવાનને જોરદાર ઝટકો લાગ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજતાં તેની બે દીકરીઓ બેસહારા બની હતી.
હાલમાં નવસારી જિલ્લામાં વીજ તાર પડવાને લીધે ખેડૂતોની શેરડી અને ખેત પેદાશને નુકસાન થવાના બનાવ છાશવારે સામે આવતા જ રહે છે. ત્યારે DGVCLની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે ફરિવાર એક પરિવારના મોભીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. નવસારી તાલુકાના મહુડી ગામમાં રહેતા 30 વર્ષીય સુનિલ પટેલ વેલ્ડીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી છે.પરિવારમાં તેમની પત્ની અને બે દીકરી સાથે તેઓ સુખેથી જીવન પસાર કરી રહ્યા હતા. ત્યારે તેઓ આગામી ગ્રામપંચાયતમાં સભ્ય તરીકે ઉમેદવારી કરવાના હોઈ કામ અર્થે દાખલો લેવા પોતાના ગામ પાસે આવેલા વોહરવાડમાં ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે રાતના 12:30 વાગ્યે પોતાના મિત્ર તેજસ સાથે તેઓ મારૂતિ વાનમાં ઘરે પરત ફરી રહ્યા હતા, એ સમયે વાન ઉપર એકાએક લાઈવ વીજતાર પડતાં કરંટનો જોરદાર ઝટકો સુનિલ પટેલને લાગ્યો હતો. સાથે જ બાજુમાં બેસેલા મિત્ર તેજસને પણ થોડી અસર થતા બંનેને સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન સુનિલ પટેલનું મોત થયું હતું.આ સમગ્ર મામલાની તપાસ ગ્રામ્ય પોલીસ અંતર્ગત આવતા મુનસાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈને સોંપવામાં આવી છે. જ્યાં પોલીસે DGVCL કંપની પાસે આ સમગ્ર મામલાને લઈને ખુલાસો માંગ્યો છે. તેમજ તેમને જવાબદાર કેમ ન ગણવા તેને લઈને પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે હવે ડીજીવીસીએલ કંપની શું જવાબ આપે છે તે જોવું રહ્યું.