ભારતમાં કોરોનાની બીજી લહેર આંશિક શાંત થઈ છે ત્યારે ત્રીજી લહેરની ચેતવણી એક રિપોર્ટમાં આપવામાં આવી છે. રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે કોરોનાની ત્રીજી લહેર આજ મહિને, એટલે કે ઓગસ્ટમાં જ આવી શકે છે, જેમાં રોજના એક લાખ કોરોનાના કેસો સામે આવશે. દેશમાં રવિવારે 40,627 નવા કેસો સામે આવ્યા અને 424 લોકોનાં મોત થયા, જ્યારે 36,627 સંક્રમિત કોરોનાથી સાજા થયા છે.
નિષ્ણાતોના મત અનુસાર, ઓગસ્ટ મહિનામાં શરૂ થનારી ત્રીજી લહેર ઓક્ટોબરમાં પીક પકડશે. બીજી લહેરમાં ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાને જોતાં કેન્દ્રએ આ વખતે તમામ રાજ્યોને દવા સહિત અન્ય મેડિકલ સામાન ઉપલબ્ધ રાખવાનો પહેલેથી નિર્દેશ જાહેર કર્યો છે. જોકે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહિ હોય. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે બીજી લહેરમાં રોજના 4 લાખ કેસો સામે આવતા હતા, પરંતુ ત્રીજી લહેરમાં એટલા બધા કેસો સામે આવે એવી સંભાવના ઓછી છે.
કોરોનાની સ્થિતિ વિશે અનુમાન લગાવનારા નિષ્ણાતોનું મૂલ્યાંકન એક ગાણિતિક મોડલ પર આધારિત હતું. મેમાં IIT હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસનો પ્રકોપ આવનારા દિવસોમાં ગાણિતિક મોડલના આધારે ગંભીર હશે.
દેશમાં કોરોના મહામારીના આંકડા :
- છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ: 40,627
- છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 36,627
- છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 424
- અત્યારસુધીમાં કુલ કેસ: 3.16 કરોડ
- અત્યારસુધી સાજા થયા: 3.08 કરોડ
- અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 4.24 લાખ
- સારવાર હેઠળ દર્દીઓ: 4.04 લાખ