વડોદરા : ભારતની પ્રથમ લાઇબ્રેરી જયસિંહરાવ સાર્વજનિક વાંચનાલયથી હેરિટેજ ઇમારતોની સફાઇ ઝુંબેશ શરૂ

એક વર્ષમાં હેરિટેજ ઇમારતોની સફાઈનો લક્ષ્યાંક, પાલિકા દ્વારા હેરિટેજ ઇમારતોની કરાશે જાણવળી

Update: 2022-04-30 11:48 GMT

વડોદરા ખાતે વર્ષ 1982ની સાલમાં સૌથી પહેલાં શરૂ થયેલી ભારતની એકમાત્ર લાઈબ્રેરી જયસિંહરાવ સાર્વજનિક વાંચનાલયથી મેયર અને મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આમ અમદાવાદ શહેર બાદ હવે વડોદરા કોર્પોરેશન દ્વારા પણ હેરિટેજ ઇમારતોની જાણવળી અર્થે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે.

સમગ્ર દેશમાં સર સયાજીરાવ ગાયકવાડના શાસનમાં અથવા તો તે પહેલાના શાસકો દ્વારા ઈન્ડો આર્કિટેક્ચરથી અનેક બિલ્ડિંગો નિર્માણ પામી છે. જે તમામ બિલ્ડીંગ હેરિટેજ તો છે. પરંતુ હેરિટેજ ઇમારતોમાં સ્થાન પામી શકી નથી. આવી જ એક ઇમારત વડોદરા કલેકટર કચેરીની સામેના ભાગમાં આવેલી છે. વર્ષ 1882માં લોકોને વાંચન તરફ વાળવા માટે શરૂ કરાયેલ સૌથી પહેલું જયસિંહરાવ સાર્વજનિક વાચનાલય હતું. વર્ષો સુધી લોકોએ વાંચનાલયમાં વિવિધ પુસ્તકો વાંચન કરી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો છે.

આજે મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ વડોદરા શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારતોના સાફ-સફાઈ અને જાળવણીનું બિડુ ઝડપ્યુ હતું, જ્યાં કોર્પોરેશનના જેસીબી મશીન બોલાવી અને સફાઈ કર્મચારીઓને સાથે રાખી સમગ્ર કેમ્પસને સાફ-સફાઈ કરવામાં આવી હતી. તદુપરાંત કલેકટરના તાબાના કેમ્પસમાં વર્ષોથી પડી રહેલ લારીઓને પણ જપ્ત કરવાની મેયરે સૂચના આપી હતી. આ દરમિયાન મેયરે જણાવ્યું હતું કે, ભારતની સૌ પ્રથમ આ લાઇબ્રેરીનું 1882માં લોકાર્પણ થયું હતું. આ હેરીટેઝ ઇમારતની જાળવણી તથા સ્વચ્છતા માટે સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હવે પ્રત્યેક સપ્તાહ દરમિયાન શહેરમાં આવેલી અલગ-અલગ હેરીટેઝ ઇમારતોની સફાઈ તથા જાળવણી ઝુંબેશ હાથ ધરાશે. આ દરમિયાન સંસ્થા તથા સેવાભાવી લોકોને સહભાગી બનવા અપીલ છે.

Tags:    

Similar News