અંકલેશ્વર-ભરૂચ ટોલ પ્લાઝા પર કાર ચાલકને મારમારનાર ત્રણ કર્મચારીઓની શહેર પોલીસે કરી અટકાયત
અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પર કાર ચાલકને મારમારનાર ત્રણ કર્મચારીઓની શહેર પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રીય માહિતી મુજબ ગત રોજ સાંજે અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં રહેતા અબ્દુલ રસીદ મોહમદ કોઠીવાળા પોતાની કાર નંબર GJ-09-BB-7007 લઈને અંકલેશ્વર હાઇવે પરથી ભરૂચ ખાતે જઈ રહ્યા હતા તે વેળા તેઓ મુલદપાસેના ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યા હતા.દરમિયાન ટોલ પ્લાઝાના કર્મચારી તેઓને ટોલ ભરવા કહેતા તેઓએ તેને કાર્ડ બતાવતા કર્મચારીએ તેઓને જવાનું કહ્યું હતું જે બાદ આગળ જતા અન્ય કર્મચારીએ તેઓની કારને રોકી ટોલ ટેક્ષ કેમ નથી ભર્યો તેવું જણાવતા કાર ચાલકે ફરી તેઓને આઈકાર્ડ બતાવ્યો હોવા છતાં અચાનક ઉશ્કેરાઈ ગયેલા કર્મચારીઓ અમન અને દુર્ગેશ સહીત વિક્રમસિંહ ભેગા મળીને કાર ચાલકને ઢીકપાટુનો મારમારતા તેઓને આંખના ભાગે ઇજા પહોંચી હતી.
આ બનાવ અંગે કાર ચાલકે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ત્રણેવ ઈસમોની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.