સોમનાથના આરબી સમુદ્ર કિનારે 45 કરોડના ખર્ચે બનાવાયો વોક વે, મ્યુઝિક સીસસ્ટમ, અને કલાત્મક લાઇટિંગ બનશે આકર્ષણનું કેન્દ્ર

Update: 2020-11-14 15:23 GMT

મુંબઈ મરીન ડ્રાઇવની જેમ પ્રવાસીઓ સમુદ્ર કિનારે લટાર લગાવી શકશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં યાત્રી સુવિધા અને વિકાસની અનેક યોજનાઓ કાર્યરત છે. જે પૈકી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સોમનાથ વોકવે છે. આ અંગે માહિતી આપતા ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ સમુદ્ર કિનારે વિશાળ વોક વે નો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે પૂર્ણતાના આરે છે.

એક વર્ષ પૂર્વે દેશના ગૃહમંત્રી અને ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહના હસ્તે ખાત મુહૂર્ત કરાયેલ. વોક વેની વીશેષતાની વાત કરીએ તો સોમનાથ આવતા યાત્રિકોને અને સ્થાનિકોને મુંબઈ મરીન ડ્રાઇવ પર લટાર મારવા નીકળ્યા હોય તેવી અનુભૂતિ થશે. સોમનાથ મંદિરના પાછળના ભાગ થી લઈ ત્રિવેણી સંગમના બંધારા સુધી 1.25 કી.મી.ની લાબાઈ ધરાવતા વોક વે પર મ્યુઝિક સિસ્ટમ, ફૂલ છોડ અને કલાત્મક લાઈટીંગ લોકોના આકર્ષણ નું કેન્દ્ર બનશે.

વધુમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવેલ કે, અરબી સમુદ્ર કિનારે બિરાજમાન દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે યાત્રિકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને વર્ષે એકાદ કરોડ પર પહોંચ્યો છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગ સાથે ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવાઈ રહી છે. સોમનાથ ખાતે વધુ 400 જેટલા રૂમ, ત્રણ જગ્યાએ રેસ્ટોરન્ટની સુવિધા ઉભી કરાઈ રહી છે. ઉપરાંત 2000 થી વધુ વાહનો પાર્ક થઇ શકે તેવું સુવિધાયુક્ત વિશાળ પાર્કિગનું પણ નિર્માણ થયું છે જેમાં ડ્રાઇવરો માટે પણ રહેવા જમવાની અલાયદી વ્યવસ્થા કરાઈ છે.

Tags:    

Similar News