નર્મદા જિલ્લાના સાર્વત્રિક વરસાદ,કરજણ ડેમમાંથી પાણી છોડાતા કેળના પાકને મોટું નુકશાન.

Update: 2019-09-10 15:01 GMT

નર્મદા જિલ્લામા 10 મી સપ્ટેમ્બર,2019 ને મંગળવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન ડેડીયાપાડા તાલુકામાં સૌથી વધુ -153 મિ.મિ. અને નાંદોદ તાલુકામાં સૌથી ઓછો -50 મિ.મિ વરસાદ નોંધાયો છે.આ સિવાય જિલ્લાના સાગબારા તાલુકામાં-151મિ.મિ.,તિલકવાડા તાલુકામાં-74 મિ.મિ.,ગરૂડેશ્વર તાલુકામાં-59 મિ.મિ. વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય બનતા ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે.નર્મદા જિલ્લામાં ગત રાત્રીથી વરસાદ શરૂ થયો હતો અને રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.સાથે જ નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે કરજણ ડેમના ઉપવાસમાં એક જ રાતમાં અધધ 12 ઇંચ વરસાદ નોંધાયો હતો.જેથી કરજણ ડેમની સપાટી એકા એક 114.70 મીટરે પહોંચતા કરજણ ડેમમાં 1.10 લાખ ક્યુસેક પાણીની આવક થતા ડેમના 7 ગેટ ખોલી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાયુ હતું.કરજણ ડેમમાં 455.10 MCM પાણીનો લાઈવ સ્ટોરેજનો જથ્થો છે.

કરજણ ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારના સિસોદરા, કાંદરોજ, રાજપરા, નાવરા, વરાછા, હજરપુરા ,ડધાનપોર, ધમણાચા,ભુછાડ,લાછરસ,થરી,કરાઠા સહિતના અનેક ગામોના ખેતરોમાં 6-6 ફૂટ પાણી ફરી વળ્યાં હતા.જોવા જઈએ તો આ ગામોમાં લગભગ હજારો એકર જમીનમાં પાણી ફરી વળતા કેળના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે.એ વિસ્તારના ખેડૂતોના મતે કરોડો રૂપિયાનો કેળનો પાક નાશ પામ્યો છે,ત્યારે સરકાર કાંઠા વિસ્તારના ગામોના નુકશાનીનો સર્વે કરી યોગ્ય વળતર આપે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

પાણી છોડતા પેહલા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા હતા:કરજણ ડેમના અધિક મદદનીશ ઇજનેર એ.વી.મહાલે

કરજણ ડેમમાંથી 10 મી સપ્ટેમ્બર,બપોરે 1:00 પાણીનો આઉટફ્લો 70,167 ક્યુસેક રહ્યો હતો.અને ડેમની સપાટી 112.03 મીટરે રહેવા પામી હતી.ડેમના 7 દરવાજા 33 મીટરની ઉંડાઇએ (ડેપ્થમાં) ખોલવામાં આવ્યાં છે.નીચાણવાળા વિસ્તારમાં રાજપીપળા,ભચરવાડા,ધાનપોર, ધમણાચા વિસ્તારને અગાઉ ચેતવણી આપ્યા બાદ પાણી છોડવામાં આવ્યું છે.હાલમાં ઉપરવાસમાં ગતિ ધીમી થવાથી હવે તબક્કાવાર પાણી ઓછું કરવામાં આવશે.

Tags:    

Similar News