ભરૂચ શહેરમાં કતોપોરથી ફુરજા સુધીના વિસ્તારમાં 3 કરોડ રૂપિયાના ખર્ચથી બની રહેલાં રસ્તાની ધીમી કામગીરી અંગે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ મુખ્ય અધિકારીને રજુઆત કરી છે....
ભરૂચ શહેરના કતોપોર બજારથી ફુરજા સુધીનો રસ્તો બિસ્માર હોવાના કારણે હજારો લોકો ભારે હાલાકી વેઠી રહયાં છે. ખાસ કરીને ચોમાસામાં આખા ભરૂચ શહેરનું પાણી આ વિસ્તારમાંથી પસાર થઇ નર્મદા નદીમાં ભળતું હોય છે. આ ઉપરાંત અહીં ગટરો પણ ખુલ્લી હોવાથી લોકો તથા વાહનો ગટરોમાં ખાબકવાના બનાવો બનતાં રહે છે. આ સમસ્યાઓના નિવારણ માટે વારંવારની રજુઆત બાદ પાલિકા સત્તાધીશોએ કતોપોરથી ફુરજા સુધી રસ્તા તથા ગટર લાઇનના કામ માટે 3 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. હાલ રસ્તો અને ગટર બનાવવામાં આવી રહયાં છે પણ ધીમી ગતિએ ચાલતી કામગીરીથી લોકો હાલાકી ભોગવી રહયાં છે. રસ્તાની કામગીરી ઝડપી બનાવવામાં આવે તેવી માંગ સાથે વિપક્ષના સભ્યોએ નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોનીને રજુઆત કરી છે.