અરવલ્લી : હવે, 104 ગામોને દિવસે પણ મળી રહેશે પિયત માટે વીજળી, મુખ્યમંત્રીએ કરાવ્યો કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ
અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવ્યો હતો, ત્યારે આગામી દિવસોમાં જિલ્લાના 104 જેટલા ગામોને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત પિયત માટે દિવસે પણ વીજળી મળી રહે તેવું આયોજન કરવામાં આવતું છે.
અરવલ્લી જીલ્લામાં શુભારંભ કરાયેલા કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કામાં જિલ્લાના 104 જેટલા ગામના કુલ 45 ખેતીવાડી ફીડરોના 12114 ખેડૂતોના ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમ્યાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતોને હવે દિવસે વીજળી મળી રહેશે. જેના પગલે ખેડૂતોને હવે રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળી રહેશે. ઉપરાંત સૂર્ય ઊર્જા થકી દિવસે ઉત્પન્ન થતી વીજળીનો દિવસ દરમ્યાન જ વપરાશ થશે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું.