ભરૂચ શહેરમાં વડીલ વાત્સલ્ય વંદના કાર્યક્રમ અંતર્ગત અગ્રણી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા પરિવારના સભ્યોના જન્મદિવસની ઉજવણી સાથે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

પ્રાણીમાત્રની સેવા એ જ પ્રભુસેવાના સિદ્ધાંતને અનુસરતી ભરૂચની અગ્રણી સંસ્થા મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા રસ્તે રઝળતા, રખડતા નધણીયાત અબોલ પશુ-પ્રાણીઓની નિઃશુલ્ક સારવાર અને માવજત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા માનવીય સંબંધોને ગરિમા બક્ષવા એક નવતર પ્રયોગ “વડીલ વાત્સલ્ય વંદના” કાર્યક્રમ અંતર્ગત એકલા, અટૂલા કે, કોઈ કારણસર એકાકી જીવન જીવતા અને માનવીય હૂંફથી વંચિત એવા 65-70 વર્ષના વયોવૃદ્ધ વડીલોના જન્મદિવસ કે, કોઈ સારા પ્રસંગે તેઓના ઘરે જઈ હાસ્ય-ખુશી લાવવાનો સૌપ્રથમ કાર્યક્રમનો ગત તા. 23 ફેબ્રુઆરીએ શુભારંભ કરવામાં આવ્યો હતો.

Delete Edit

જેમાં 86મા વર્ષમાં પ્રવેશતા અરવિંદ પટેલના નીલકંઠનગર સોસાયટીના નિવાસસ્થાને સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી જયેશ પરીખ, સહ સ્થાપક ટ્રસ્ટી હિના પરીખ, સંસ્થાના પ્રમુખ જાસ્મિન દલાલ તેમજ સંસ્થાના અન્ય જીવદયા પ્રેમીઓ શીલા પટેલ, પિંકી ચૌહાણ, પ્રશાંત ગડરિયા, નિકુંજ પટેલ, ક્ષિતિજ પંડ્યાએ સહપરિવાર ઉપરાંત અન્ય મિત્રોએ ભેગા મળી થઈ વૃદ્ધ અરવિંદ પટેલના ઘરે જઈ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા અનુસાર દીપ પ્રગટાવી અને કેક કાપી તેમજ સંસ્કૃતના શ્લોકોનું પઠન કર્યા બાદ સૌએ સાથે ભોજન કરી આનંદોલ્લાસથી જન્મદિવસની ઉજવણી કરી હતી, ત્યારે વૃદ્ધ અરવિંદ પટેલના જણાવ્યા અનુસાર, તેઓના જીવનમાં પહેલી વાર શ્રેષ્ઠ રીતે ઉજવાયેલો આ જન્મદિન યાદગાર બની ગયો છે. સાથે જ તેઓએ જન્મદિન નિમિત્તે જીવદયાની સેવા માટે રૂપિયા 11,111/-નો ચેક સંસ્થાને અર્પણ કર્યો હતો.