ભરૂચ : શહેરમાં અશાંતધારાનો થતો નથી અમલ, જુઓ કોણે કરી તંત્રને રજુઆત
ભરૂચમાં નગરપાલિકાની ચુંટણીના પડઘમ વાગી રહયાં છે ત્યારે ચુંટણી લડવા માંગણા મુરતિયાઓઓ અત્યારથી લોકોની વચ્ચે જવાની શરૂઆત કરી દીધી છે. પાલિકાની ચુંટણી લડવા તત્પર હિંદુસ્તાન નિર્માણ દળના નેતાઓએ હવે અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યો છે.
ભરૂચમાં બે વર્ષ અગાઉ ગુજરાત મહેસુલ વિભાગ દ્વારા અતિ સંવેદનશીલ જિલ્લા એવા ભરૂચમાં અશાંતધારો પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવ્યો હતો. 8 માર્ચ 2019 ના રોજ મહેસૂલ વિભાગે જાહેરનામું બહાર પાડી ભરૂચ શહેરના 46 જેટલા વિસ્તારોને અશાંતધારા હેઠળ આવરી લીધાં હતાં. અશાંતધારો લાગુ થયો છે તેવા વિસ્તારોમાં એક કોમના લોકો બીજી કોમના લોકોને મિલકતો વેચી શકતાં નથી. અને મિલકતોનું વેચાણ કરવાનું હોય તો કલેકટરની મંજુરી લેવી આવશ્યક છે.
હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા ભરૂચના સોની ફળિયા,હાથીખાના, બહાદુર બુરજ,લાલ બજાર, કંસારવાડ,કોઠી સહિતના વિસ્તારોમા અશાંતધારાના નિયમોનું કડકપણે પાલન ન થઈ મકાનની લેતી-દેતી થતી હોવાના આક્ષેપ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .સાથે જ આ વિસ્તારોમાં અશાંતધારાનું કડકપણે પાલન થાય અને વેચાયેલ મકાનના દસ્તાવેજ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.