અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આગ બાદ ગેસ ગળતરની ઘટનામાં આજુબાજુના ગ્રામજનોમાં ફેલાયેલ ભયને લઇ અંકલેશ્વરની સંજાલી ગામ પંચાયત ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી
અંકલેશ્વરની પાનોલી જી.આઇ.ડી.સીની અક્ષર નિધિ કંપનીમાં ભીષણ આગ બાદ પાણીના છંટકાવ દરમિયાન કંપનીમાં રહેલ PCL5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઈડ આવતા રાસાયણિક પ્રક્રિયાથી HCL ગેસ બનતા ક્લોરીન ગેસે ગભરાટ અને અંધાધુધી સર્જી હતી જેને પગલે સંજાલી ગામે ગેસ ગળતરની બુમરાણ વચ્ચે પરપ્રાંતીય કામદારો અને લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા. આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો સાથે જીઆઇડીસીના રસ્તા, હાઈવે, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તરફ લોકોએ દોટ મુકતા જિલ્લાનું તંત્ર પણ દોડતું થયું હતું.આ ઘટના બાદ ભયભીત બનેલ ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આજરોજ પત્રકાર પરિષદ યોજી આ ઘટનામાં કસૂરવાર ઉદ્યોગ સામે પગલા ભરવા સાથે જવાબદાર વિભાગ સામે ફરિયાદ નોંધી તપાસ કરવા માંગ કરવામાં આવી છે અને વહેલી તકે પગલા નહી ભરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.