Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગ નજીક માર્ગ અકસ્માતમાં 3 સાધુના મોત, 12 લોકોને પહોંચી ઇજા...

નર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 સાધુના મોત નિપજ્યાં છે

ભરૂચ : નેત્રંગ નજીક માર્ગ અકસ્માતમાં 3 સાધુના મોત, 12 લોકોને પહોંચી ઇજા...
X

ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક નર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 સાધુના મોત નિપજ્યાં છે, જ્યારે કારમાં સવાર 12 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નર્મદા જીલ્લાના રામાનંદ આશ્રમના સાધુ-સંતો કાર નંબર જીજે-૧૨-બીએફ-૩૧૦૭ લઇને રાજપીપળાથી નવસારી તરફ પસાર થઇ રહ્યા હતા, ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાડી રોડ ઉપર આવેલ કંબોડીયા-ચાસવડ ગામની વચ્ચે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડના સમાંતર આવેલ ઝાડ સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી.

આ દરમ્યાન કાર હંકારનાર યુપીના રહેવાસી 41 વર્ષીય રાકેશ સોનકરને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય વ્યક્તિમાં વેદાંતી ગુરૂજી વૈષ્ણવ અને કેશવદાસ ગુરૂજી વૈષ્ણવને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બને ઇજાગ્રસ્તોનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ ઉપરાંત કારમાં સવાર અન્ય 12 જેટલા સાધુ-સંતોને નાની મોટી ઇજાઓના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થયા બાદ ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવના પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલ તો સમગ્ર મામલે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Next Story