Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કૃષિ મહાવિદ્યાલય ખાતે નવા પ્રવેશ મેળવનાર છાત્રો માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો

ભરૂચ ખાતે નવું એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ નવસારી કૃષિ યુનિવર્સિટીના ડૉ. આર.ડી.પંડયાના અધ્યક્ષસ્થાને એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ ખાતે યોજાયો

ભરૂચ : કૃષિ મહાવિદ્યાલય ખાતે નવા પ્રવેશ મેળવનાર છાત્રો માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
X

ભરૂચ ખાતે નવું એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ નવસારી કૃષિ યુનિવર્સિટીના ડૉ. આર.ડી.પંડયાના અધ્યક્ષસ્થાને એગ્રીકલ્ચર કોલેજ ભરૂચ ખાતે યોજાયો હતો. ર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરાઈ હતી. ત્યારબાદ કૃષિ વિદ્યાલયના ડૉ. ભટ્ટ દ્વારા સર્વે હાજરજનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

આ તબક્કે ભરૂચ એગ્રીકલ્ચર કોલેજના પ્રાધ્યાપક ડૉ.પાઠકે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓના પાંચ લક્ષણો તેમજ ભરૂચ કૃષિ મહાવિદ્યાલયમાં છાત્રોને શૈક્ષણિક, રમત-ગમત તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રે રહેલ વિવિધ તકો વિશે સવિસ્તાર છણાવટ કરી હતી. જ્યારે ડૉ. એ.ડી.રાજે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માહિતી પૂરી પાડી તેઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

આ પ્રસંગે ભરૂચ કૃષિ મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડૉ. ડી.ડી. પટેલે પોતાના લાક્ષણિક અંદાઝમાં પ્રેરણાદાયક પ્રવચન થકી છાત્રોનું નૈતિકતા, ચારિત્ર્ય અને પ્રામાણિકતા દ્વારા સર્વાંગિક વિકાસ કરવા આહવાન કરાયુ હતુ. સાથે જ સદર કોલેજ વિદ્યાર્થીઓનું ઘડતર કરશે એની બાંહેધરી પણ આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. આર.ડી. પંડયાએ પ્રેરક સંબોધન થકી છાત્રોને વિકાસની નવી કેડી કંડારવા રાહ ચીંધી હતી. આ ક્ષણે કોલેજના સ્ટુડન્ટ હાર્દિક જીંજાલાએ પોતાનો કોલેજ અનુભવ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે અત્રેની કોલેજમાં જ્ઞાન અને સહકારની ભાવના ધરાવતા પ્રાધ્યાપકો હોવા સાથે હોસ્ટેલમાં પણ રહેવા તથા જમવાની સુચારુ વ્યવસ્થા પ્રાપ્ત થાય છે.

આ તબક્કે ભરૂચ કૃષિ મહાવિદ્યાલયમાં સેમ ૧ માં અભ્યાસ કરતી કુ.સવદહ સૈયદે પોતાની અનોખી શૈલીમાં કોલેજ પ્રત્યે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતા સર્વે હાજર લોકોને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. તેણી એ કોલેજમાં પર્યાપ્ત માત્રામાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ હોવાની માહિતી પૂરી પાડી હતી. વધુમાં ગર્લ્સ હોસ્ટેલ ખાતે સેનેટરી પેડ ડિસ્ટ્રોયર મશીનનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીનિઓની શારીરિક અને માનસિક કાળજી લેવામાં આવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઉક્ત કાર્યક્રમમાં કુલ ૧૫૦ જેટલા છાત્રો તેમજ કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમના અંતે કોલેજના ડૉ. ડી.આર.પટેલે આભારવિધિ કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.એસ.જી.પટેલે કર્યું હતુ.

Next Story