કપાસના કાનમ પ્રદેશ તરીકે જાણીતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદુષણના કારણે 70 હજાર હેકટરમાં ખેતીને નુકશાન થયું હોવાનો અંદાજ છે ત્યારે રવિવારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પગુથણમાં અસરગ્રસ્ત ખેડુતો સાથે બેઠક યોજી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા, આમોદ અને જંબુસર તાલુકામાં કપાસની મોટા પાયે ખેતી કરવામાં આવે છે. આ ત્રણેય તાલુકાની આસપાસ આવેલા ઉદ્યોગોમાંથી છોડવામાં આવતાં ગેસના કારણે પ્રદુષણની માત્રામાં વધારો થયો છે. પ્રદુષણના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકશાન જોવા મળી રહયું છે. જે ફુલમાંથી કપાસ ઉગે છે તે ફુલ કરમાય ગયાં છે. ખેડુતો પોતાના ખેતરમાં વાવેતર કરેલાં કપાસના છોડવાઓ તોડી નાંખવા મજબુર બની ગયાં છે. એક અંદાજ મુજબ ભરૂચ જિલ્લામાં જ 70 હજાર હેકટરથી વધારે જમીનમાં વાવેતર કરાયેલાં ખેતીના પાકનો પ્રદુષણે દાટ વાળી દીધો છે. પોષણક્ષમ ભાવો નહી મળવાથી લાચાર બનેલા ખેડુતો પ્રદુષણથી બરબાદ થઇ ગયાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ રવિવારના રોજ પગુથણ ગામે આવેલાં ફાર્મ હાઉસમાં અસરગ્રસ્ત ખેડુતો સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ખેડુતો સાથેની બેઠક બાદ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકારે જવાબદાર ઉદ્યોગો સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઇએ અને બરબાદ થયેલા ખેડુતો માટે રાહત પેકેજની જાહેરાત કરવી જોઇએ.