ભરૂચ : આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ, હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા...
ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉલ્લાસભેર ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે
ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉલ્લાસભેર ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વર સહિતના અન્ય તાલુકાઓમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે.
જીવના શિવ સાથે મિલન કરાવતું પાવન પર્વ એટલે મહાશિવરાત્રિ. દેવોના દેવ મહાદેવની આજરોજ મહાશિવરાત્રીના દિવસે ભક્તો દ્વારા વિશેષ પુજા-અર્ચના કરવામાં આવે છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં શિવરાત્રીના મહાપર્વની ઉજવણી નિમિત્તે વિવિધ દેવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક, લઘુરુદ્ર યજ્ઞ, મહાઆરતી, ભજન-સત્સંગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિરે આવતા શ્રધ્ધાળુંઓને ભાંગની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવનાર છે.
ભરૂચ શહેરમાં જિલ્લા પંચાયત પાસે આવેલ રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દિવસભર રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા 10000 લિટર ભાંગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ડાયરો, મહાઆરતી, ભજન-સત્સંગ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ભરૂચ શહેરની જનતાને દેવોના દેવ મહાદેવના દર્શન કરવા તેમજ વિનામૂલ્યે ભાંગની પ્રસાદીનો લાભ લેવા રામેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.