Connect Gujarat
Featured

ભાવનગર : અમૃત ખેડૂત બજાર હેઠળ શહેરીજનોને મળ્યું રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક બજાર, તંત્રની નવતર પહેલને બહોળો પ્રતિસાદ

ભાવનગર : અમૃત ખેડૂત બજાર હેઠળ શહેરીજનોને મળ્યું રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક બજાર, તંત્રની નવતર પહેલને બહોળો પ્રતિસાદ
X

ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા હેતુસર આત્મા પ્રોજેક્ટ હેઠળ અમૃત ખેડુત બજાર ખુલ્લુ મુકાયું હાતું. શહેરના જોગર્સ પાર્ક-2 ખાતે રાજ્યની પ્રથમ એવી નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોને શહેરમાં પોતાની પેદાશના વેચાણ માટે એક જગ્યા મળી રહે અને શહેરમાં રહેતા લોકો જે સ્વાસ્થ જાળવવા અને નિરોગી રહેવા પ્રાકૃતિક ખોરાક લેવા ઇચ્છુક છે, તેવા લોકોને સરળતાથી ગામડામા સંપુર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતો દ્વારા ઉત્પાદિત પેદાશ મળી રહે તેવા અભિગમ સાથે અમૃત બજાર શરૂ કરવામા આવી છે.

ભાવનગર જિલ્લાના 134 ખેડુતો દ્વારા જુદી જુદી ખેત પેદાશો અને અન્ય પ્રોસેસ કરેલી પ્રાકૃતિક પેદાશોના વેચાણનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી વિભાવરી દવે તથા D.D.O. વરૂણકુમાર બરનવાલે અમૃત ખેડુત બજારને ખુલ્લી મુકી હતી, ત્યારે બજારમાંથી ખરીદી કરી પ્રાકૃતિક કૃષિ તેમજ ખેડુત આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપ્યુ હતું. અમૃત ખેડુત બજારને ખુલ્લુ મુકતા રાજ્યમંત્રી વિભાવરી દવેએ જણાવ્યુ હતુ કે, આજે લોકો અને ખેડુતો બન્ને ઓર્ગેનિક તરફ વળ્યા છે, ત્યારે આ બજાર બન્ને માટે યોગ્ય માધ્યમ પુરૂ પાડશે. આ બજાર થકી લોકોને અમૃત જેવુ શુધ્ધ ઉત્પાદન ઘર આંગણે જ મળશે. રાસાયણીક ખાતરથી પાક મબલખ આવે છે પરંતુ તે જમીન અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આગળ જતા તેનાથી કેન્સર જેવા ગંભીર રોગો થવાની શક્યતા પણ રહેલી છે અને તેથી જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પણ પ્રાકૃતિક કૃષિ માટેનું દેશ્વ્યાપી અભિયાન ચલાવ્યુ છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતુ કે, ભાવનગરમા ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અમૃત ઉત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ ત્યારે જિલ્લાના ખેડુતો તથા શહેરીજનોની માંગ હતી કે, તેઓને પ્રાકૃતિક કૃષિનુ કાયમી માધ્યમ ઉપલબ્ધ થાય. જે બાબત ધ્યાને લઇ વહીવટી તંત્ર તથા ભાવનગર મહાનગરપાલિકાના સહયોગથી અમૃત કૃષિ બજાર ઉભુ કરવામાં આવ્યુ છે. જેમાં સખી મંડળના ઉત્પાદનો પણ વહેચાણ અર્થે મુકવામા આવ્યા છે. જેના થકી મહિલાઓ પણ આત્મનિર્ભર બનશે. સાથે સાથે ખેડુતોને ઉત્પાદનના કાર્યક્ષમ ભાવ મળી રહેશે તેમજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળશે. અમૃત ખેડુત બજારમા ઓર્ગેનિક શાકભાજી, અનાજ, કઠોળ, તેલ, ફળો, ગોળ, જ્યુસ, ફરસાણ, રમકડા, ફિનાઇલ, પ્રાકૃતિક દવાઓ, હળદર સહિતની જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ પ્રારંભિક તબક્કે ઉપલબ્ધ કરાવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બજાર દર રવિવારે સવારે 7થી 12 કલાક દરમ્યાન શહેરીજનો માટે ખુલ્લી રહેશે. આ પ્રસંગે વેચાણ માટે આવેલા ખેડુતો તથા ખરીદી માટે આવેલા શહેરીજનોએ આ વ્યવસ્થાથી લાભાન્વીત થઇ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો, ત્યારે સુંદર વ્યવસ્થા ઉભી કરવા બદલ આત્મા પ્રોજેક્ટ તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.આર.કોસાંબી, નાયબ ખેતીવાડી અધિકારી દવે, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બદદાણીયા, બાગાયત નિયામક વાઘમશી, યંગ ઇન્ડિયા ગૃપના સભ્યો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story