Connect Gujarat
સમાચાર

ભાવનગર : મેઘકંઠીલા રાજકવિ પિંગળશી નરેલાની આજે 165મી જન્મજયંતી, સતત 3 રાજપેઢી સુધી દીપાવ્યું રાજકવિ પદ

ભાવનગર : મેઘકંઠીલા રાજકવિ પિંગળશી નરેલાની આજે 165મી જન્મજયંતી, સતત 3 રાજપેઢી સુધી દીપાવ્યું રાજકવિ પદ
X

ભાવેણાંના રાજ્યકવિ પિંગળશીભાઈ નરેલા (ગઢવી)નો જન્મ તા. 10/10/1856ના રોજ ગોહિલવાડ રાજ્યની પુરાતન રાજધાની સિહોર ખાતે, રાજ્યકવિ પિતા પાતાભાઈ નરેલા અને માતા આઈબાની પવિત્ર કુખે જન્મ થયો હતો. તળાજા તાલુકાનું શેવાળિયા ગામએ તેઓનું મોસાળ હતું. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ચારણી અને વ્રજભાષાના તેઓ જાણકાર હતા. આ નરેલા પરિવારની સતત પાંચ પેઢી મુળુભાઈ, પાતાભાઈ, પિંગળશીભાઈ, હરદાનભાઈ અને સૌથી છેલ્લે બળદેવભાઈ નરેલાએ રાજ્યકવિનું પદ શોભવ્યું હતું, જ્યારે મહારાજા તખ્તસિંહજી, ભાવસિંહજી તથા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ એમ સતત ત્રણ રાજપેઢી સુધી પિંગળશીભાઈએ રાજ્યકવિ પદ દીપાવ્યું હતું. તેઓ માત્ર રાજયકવિ જ ન હતાં, પરંતુ એક પવિત્ર ચારણ અને પ્રભુપારાયણ મહાપુરુષ પણ હતાં, માટે જ તેઓને દેવતાતુલ્ય ચારણનું બિરુદ મળ્યું હતું. તેઓના સંત સમાન હૃદયને સાચું જળ તો મહારાજા તખ્તસિંહજીએ જ સિચ્યું હતું. મહારાજના તમામ સખાવતી કામ આ રાજ્યકવિની દેખરેખ હેઠળ જ ચાલતાં હતાં. રાજયકવિની પ્રેરણાથી જ ભાવનગરની પ્રજાને સર તખ્તસિંહજી સરકારી હોસ્પિટલની ઉત્તમ ભેટ મળી છે. દરરોજ સવારે 4 વાગ્યે જાગતા અને હાથમાં કલમ ધારણ કરી સરસ્વતીની કૃપાથી એક ઉત્તમ પદની રચના કરતા હતાં. શિવ અને શક્તિના ગણ સમાન આ ચારણ કવિએ બરવાળા પંથકમાં બિરાજમાન પાંડવ સ્થાપિત ભીમનાથ મહાદેવની આરાધના કરતાં ચર્ચરી છંદમાં લખ્યું છે કે :

આદિ શિવ ઓઉંકાર, ભજન હરત પાપ ભાર,

નિરંજન નિરાકાર ઈશ્વર નામી,

દાયક નવ નિધિ દ્વાર, ઓપત મહીમા અપાર,

સર્જન સંસાર સાર શંકર સ્વામી,

ગેહરી શિર વહત ગંગ, પાપ હરત જળ તરંગ,

ઉમિયા અરધંગ અંગ કેફ આહારી,

સુંદર મૂર્તિ સમ્રાથ, હરદમ જુગ જોડી હાથ,

ભજહું મન ભીમનાથ શંકર ભારી...૧.

લોકસાહિત્યના કાર્યક્રમોમાં રજૂ થતાં તેઓના ૠતુવર્ણનો આજે પણ ખૂબ જ લોકપ્રિય ઉપરાંત લોકહૈયે વસેલાં છે.

અષાઢ ઉચારં, મેઘ મલારં, બની બહારં, જલ ધારં,

દાદૂર, હકારં, મયુર પુકારં, તડિતા તારં, વિસ્તારં,

નાં લહિ સંભારં, પ્યાસ અપારં, નંદ કુમારં, નીરખ્યારી,

કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુલ આવો ગિરિધારી....૯

જ્યારે શૂરવીરતા વિષયક તેઓના ત્રિભંગી છંદ આજે કેમ વિસરાય...??

કર ધરી તલવારં, કમર કટારં, ધનુકર ધારં, ટંકારં,

બંદૂક બહારં, મારં મારં, હાહા કારં હોકારં,

નર કંઈ નાદારં, કરત પુકારં, મુખ ઉચારં, રામ નથી,

વીત વાવરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી....૩.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજી નોંધે છે કે : અડીખમ દેહના એ મેઘકંઠીલા ચારણ કવિનું ગરવું અને ગંભીર વ્યક્તિત્વ એમણે એક પણ કવિતા ન રચી હોત તો પણ સોરઠી જીવનને સમૃદ્ધ કરવા માટે બસ હતું. એમની દિલાવરી, એમનો રોટલો, એમની અજાતશત્રુતા, માથું વાઢી લેવા વાંછનારને પણ ખમ્મા કહેનારી એમની મનમોટપ એમના જીવનના અનેક સંભારણા હૃદયમાં સંઘરાઈને સદાય પડ્યા રહેશે. તેઓના પ્રભુભક્તિના પ્રેમલક્ષણાયુક્ત પદ અત્યારે મીરાંબાઈ, નરસિંહ સહિત અનેક આદિ સંતોની વાણી સાથે સ્થાન મેળવી એકતારાના તાર પર ગવાઈ રહ્યા છે. ભક્ત હૃદયના એ ભડ પુરુષ ડેલીની ચોપાટ માં બેઠાં હોય, હું જઈ ઉભો રહું, જૂની અનેક માહિતીઓ માંગુ, તેના ઉત્તરમાં ઘન ગંભીર કંઠે, આંખ સંકોડી, યાદશક્તિ ઢંઢોળી પછી વાતો કરે, પ્રોત્સાહન આપે, પીઠ થાબડેએ મનોમૂર્તિ આજે પણ માનસપટ પર નખશિખ મોજુદ છે. મહાકવિ નાનાલાલ અને મેઘાણીજીએ તેઓને લાસ્ટ મીનસ્ટ્રલ અર્થાત મધ્યયુગનો છેલ્લો સંસ્કારમૂર્તિ ચારણ કહ્યા છે. ચારણ હિતવર્ધક સભાના પાયાના પથ્થરો પૈકીના એક તેઓ કૃષ્ણકુમારસિંહજી ચારણ બોર્ડીંગ, ભાવનગરની સ્થાપના કરી, ગઢવી સમાજના વિધાર્થીઓ માટે શિક્ષણના ધામનું નિર્માણ કર્યું હતું. તેઓએ મહાત્મા ઇશરદાસજીના હરિરસ ગ્રંથના સંપાદન ઉપરાંત શ્રીકૃષ્ણ બાળલીલા, ચિત્ત ચેતાવની, તખ્ત પ્રકાશ, ભાવભૂષણ, પિંગળ કાવ્ય ભાગ -૧ અને ભાગ -૨, સુબોધ માળા, ઈશ્વર આખ્યાન, પિંગળ વીર પૂજા, સુજાતા ચરિત્ર, સપ્તમણી અને સત્યનારાયણ કથા પુસ્તકોની રચના કરી છે. ભાવનગર શહેર ખાતે વડવા પાનવાડી રોડ પર આજે પણ પિંગળશીબાપુની ડેલી આવેલી છે. રાગદ્રેષથી મુક્ત, નિરાભિમાની અને દરિયાવદિલના માલિક, માનવપ્રેમ અને ઈશ્વરભક્તિથી રંગાયેલા જ્ઞાની હૃદયના આ રાજ્યકવિએ તા. 3/3/1939ના રોજ 83 વર્ષની વયે હરિસ્મરણ કરતાં કરતાં દેહ છોડી સ્વર્ગે સિધાવ્યા ત્યારે સાહિત્ય જગતને અને ગોહિલવાડને ક્યારેય પૂરી ન શકાય તેવી ખોટ પડી છે.

Next Story