ભરૂચ : જૈન સમાજે સંવત્સરી પર્વની કરી ઉજવણી, પર્વાધિરાજ પર્યુષણનું સમાપન
એક તરફ ગણપતિ બાપ્પા મોરિયાની ગુંજ હતી તો બીજી તરફ જૈન સમાજનું પર્યુષણ પર્વ અંતિમ પડાવ પર હતું. આમ ભાદરવા સુદ ચર્તુથીના દિવસે તહેવારોનો સુભગ સમન્વય થયો હતો....
જૈન સમાજના પર્વાધિરાજ પર્યુષણના અંતિમ પડાવ તરીકે આજે સૌથી મોટું પ્રતિક્રમણ હતું. પ્રતિક્રમણ બાદ જૈન સમાજના શ્રાવક- શ્રાવિકાઓ, સંબંધીઓ, કુટુંબીજનો તથા મિત્રોએ એક બીજાને મિચ્છામી દુક્કડમ કહીને ક્ષમા માગી હતી.જૈન ધર્મમાં ક્ષમાપનાને અત્યંત સાહજિક બનાવી દેવામાં આવી છે. આ કારણે આબાલવૃદ્ધ કોઇને ક્ષમા માંગવામાં અને ક્ષમા આપવામાં સંકોચ નડતો નથી. ક્ષમાપના કરવા માટે જબરદસ્ત આત્મવિશ્વાસની જરૂર પડે છે. જેમને પોતાની જાતમાં શ્રદ્ધા હોય છે, તેઓ જ માફી માંગી શકે છે અને માફી આપી શકે છે. જેમાં ક્ષમાપનાનો તહેવાર ઉજવાતો હોય તેવો જગતભરમાં એકમાત્ર જૈન ધર્મ છે. જૈન ધર્મમાં 'મિચ્છામી દુકકડમ'ને મહામંત્ર માનવામાં આવ્યો છે. ભરૂચમાં શ્રીમાળી પોળ ખાતે આવેલા જૈન દહેરાસર ખાતે જૈન સમાજના લોકોએ પૂજા-અર્ચના કરી હતી તથા એકમેકની માફી માંગી હતી.