ભીમ અગિયારસ, ગંગાદશમી, નિર્જળા એકાદશી અને ગાયત્રી જયંતિનો આજે સુભગ સમન્વય
ભીમ અગીયારસના મહાપર્વે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં સાંજે ઠાકોરજીને પરંપરાગત રીતે સુશોભિત નાવમાં બિરાજમાન કરીને જલવિહાર કરાવવામાં આવશે.
ભીમ અગીયારસના મહાપર્વે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં સાંજે ઠાકોરજીને પરંપરાગત રીતે સુશોભિત નાવમાં બિરાજમાન કરીને જલવિહાર કરાવવામાં આવશે. આજના પાવન પર્વે હવેલીઓમાં નિત્યક્રમ મુજબ યોજાનારા આ નાવ મનોરથના દર્શન કરવા બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. આ સુશોભીત નાવ મનોરથના દર્શન ભાવિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બને છે.
આ વર્ષે આજે તા.૧૦ જુનને શુક્રવારે જેઠ સુદ એકાદશીના દિવસે ગંગાદશમી, ગાયત્રી જયંતિ, નિર્જળા એકાદશી,એક સાથે ત્રણ દિનનો વિશેષ સુભગ સમન્વય થશે.આજના દિવસે વેદમાતા ગાયત્રી જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ અવસરે ગાયત્રી પરિવારો દ્વારા ગાયત્રી મંત્રના ગુંજન સાથે પ્રભાતફેરી, મહાયજ્ઞા સહિતના કાર્યક્રમો યોજાશે. જેઠ મહિનામાં સુદ પક્ષમાં આવતી એકાદશી નિર્જળા એકાદશી તરીકે જાણીતી છે. નિર્જળા એકાદશી કે ભીમ અગિયારસ નિમિત્તે નકોરડા ઉપવાસનું વૈજ્ઞાનિક સમર્થન પ્રાપ્ત અનેરુ મહત્વ છે. વર્ષ દરમિયાન ૨૪ અને અધિક માસ હોય ત્યારે ૨૬ અગીયારસ આવે છે. દરેકનું વ્રત કરવાથી અલગ અલગ ફળ મળે છે. જેમાં નીર્જળા એકાદશી વર્ષની શ્રેષ્ઠ અને તમામ એકાદશીનું સામટુ ફળ આપનારી એકાદશી હોય વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રધ્ધાળુઓ અચૂક આ અગિયારસ કરતા હોય છે. આજના દિવસે કરાયેલુ અન્નદાન અક્ષય થાય છે તેથી જ ભીમ અગિયારસના મહાપર્વે બહેનોને ભેટ, દક્ષિણા તેમજ સાધુ, બ્રાહ્મણ, મહંત અને પુજારીઓને અન્નદાન, વસ્ત્રદાન અને રોકડ દાન આપવાની પણ પરંપરા છે.આ સાથે વેદોની માતા ગાયત્રી માતાજીની જયંતિની પણ ગોહિલવાડમાં ભાવ અને ભકિતમય માહોલમાં ઉજવણી કરાશે.