/connect-gujarat/media/media_files/2025/02/07/zLnfNnwldnOQbHyAQ8Vj.jpg)
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજો સંગમમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. ત્યારે તારીખ 7 ફેબ્રુઆરી 2025 રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભમાં પહોંચ્યા હતા. તેમણે સંગમ ઘાટ પર આસ્થાની ડૂબકી લગાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં સૌપ્રથમ બડે હનુમાનજી મંદિરે પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ અરેલ ઘાટથી નૌકા માર્ગે સંગમ પહોંચ્યા હતા. જ્યાં સંગમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર સ્નાન કર્યું હતું. ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યું હતું.
મહાકુંભની વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, 'ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. ક્યાંય કોઈ તકલીફ નથી આવી રહી, કોઈને તકલીફ નથી આવી રહી.સફાઈથી લઈને તમામ વસ્તુ ખૂબ સુંદર છે. મને સ્નાન કરવાનો મોકો મળ્યો, ખુદને ધન્ય અનુભવું છું. આસ્થાના કેન્દ્ર ત્રિવેણી સંગમમાં સૌ લોકો સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.સૌ માટે સુખ માગ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજમાં બડે હનુમાનજીના દર્શન કર્યા હતા. જેની તસવીરો શેર કરતા મુખ્યમંત્રીએ 'X' પર લખ્યું કે, પ્રસિદ્ધ યાત્રાધામ તીર્થરાજ પ્રયાગની ભૂમિ ઉપર બડે હનુમાનજીના દર્શન તથા પૂજનનું સદભાગ્ય પ્રાપ્ત થયું. રાજ્યની સર્વાંગી ઉન્નતિ અને સમૃદ્ધિ હેતુ નિજમંદિરે પ્રાર્થના કરી.