કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા, શું અમિત શાહે શકિતસિંહ ગોહિલ સાથે બદલો લીધો ?
ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો
માટે 26મી માર્ચના
રોજ મતદાન થાય તે પહેલાં જ ભાજપે કોંગ્રેસનો ખેલ પાડી દીધો છે. કોંગ્રેસના પાંચ
ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં કોંગ્રેસના બે પૈકી એક ઉમેદવારની હાર થવાનું લગભગ
નકકી થઇ ગયું છે.
રાજયસભાની ચુંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્યો તુટવાનો સીલસીલો યથાવત
રહયાં છે. કોંગ્રેસે શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ટીકીટ આપતાં કોંગ્રેસની
યાદવાસ્થળી બહાર આવી હતી. કોંગ્રેસના નેતાઓને ગંધ પણ ન આવે તે રીતે જે.વી. કાકડીયા, પ્રવિણ મારૂ, મંગળ ગાવિત, પ્રધ્યુમનસિંહ જાડેજા અને સોમા
પટેલે તેમના રાજીનામા વિધાનસભા અધ્યક્ષને આપી દીધાં હતાં. અધ્યક્ષે રાજીનામાનો
સ્વીકાર પણ કરી લેતાં કોંગ્રેસની સભ્ય સંખ્યા 68 પર પહોંચી છે. હજી પણ પાંચ
ધારાસભ્યો અક્ષય પટેલ, હર્ષદ રીબડીયા, ચિરાગ કાલરીયા, કનુ બારૈયા અને જીતુ ચૌધરી
રાજીનામા આપે તેવી શકયતાઓ રહેલી છે. ગુજરાતમાં રાજયસભાની ચુંટણી પહેલાં ખેલાયેલા
રાજકીય ખેલમાં દેશના ગૃહમંત્રી અમિત શાહની મહત્વની ભુમિકા હોવાની ચર્ચા ચાલી રહી
છે. રાજયસભાની છેલ્લી ચુંટણીમાં અહમદ પટેલે ઉમેદવારી નોંધાવી હતી અને તે સમયે પણ
ભાજપે ત્રણ ઉમેદવાર ઉભા રાખ્યાં હતાં અને તે સમયે પણ કોંગ્રેસના છ જેટલા ધારાસભ્યો
તુટયાં હતાં. તે સમયે રાજયસભાની ચુંટણી વેળા શકિતસિંહ ગોહિલની સર્તકતાથી અહમદ
પટેલની હાર થતાં અટકી હતી. આ વખતે રાજયસભાની ચુંટણીમાં કોંગ્રેસે શકિતસિંહ ગોહિલને
ઉમેદવાર બનાવતાં અમિત શાહે શકિતસિંહ ગોહિલની ગેમ કરી નાંખી હોવાની ચર્ચા રાજકીય
ગલિયારાઓમાં ચાલી રહી છે.