પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે આગળ આવ્યા 'બાહુબલી'
રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અનેક લોકોને ભારે નુકસાનનો પણ સામનો કરવો પડ્યો છે
ભારે વરસાદના કારણે આંધ્રપ્રદેશની હાલત ખરાબ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અનેક લોકોને ભારે નુકસાનનો પણ સામનો કરવો પડ્યો છે. જો કે, રાજ્ય સરકાર પૂરથી પ્રભાવિત લોકો અને વિસ્તારોને દરેક રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. તે જ સમયે, સાઉથ સિનેમાના સુપરસ્ટાર 'પ્રભાસ' પણ પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે આગળ આવ્યા છે.
પ્રભાસે આંધ્રપ્રદેશમાં પૂરથી પ્રભાવિત લોકો માટે 1 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી છે. પ્રભાસે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રાહત ફંડ દ્વારા રાજ્યમાં પૂરથી પ્રભાવિત લોકોને આર્થિક મદદ કરી છે. નોંધનીય છે કે પ્રભાસ સિવાય સાઉથ સિનેમાના અન્ય સ્ટાર્સે પણ પૂરથી પ્રભાવિત લોકોને આર્થિક મદદ કરી છે.
અત્યાર સુધી, સુપરસ્ટાર મહેશ બાબુ, જુનિયર એનટીઆર અને રામ ચરણએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રાહત ફંડમાં 25-25 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. આંધ્ર પ્રદેશના કડપા જિલ્લામાં તાજેતરમાં આવેલા પૂરમાં 16 લોકો લાપતા થઈ ગયા હતા. રાજ્ય સરકારે એ પણ માહિતી આપી હતી કે પૂરના કારણે અત્યાર સુધીમાં 44 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ મૃતકો અને ગુમ થયેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે.
દેશના સૌથી દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાંનો એક અનંતપુર પણ પૂરની ઝપેટમાં છે. તિરુપતિમાં પણ ભારે વરસાદ થયો છે. તાજેતરમાં તિરુમાલા ઘાટ રોડ પર ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ભૂસ્ખલનને કારણે ઘાટ રોડ બંધ કરવો પડ્યો હતો. પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર મંદિર તરફ જતો રસ્તો ભૂસ્ખલનથી ક્ષતિગ્રસ્ત થયો હતો. આ કરણ વેંકટેશ્વર મંદિરના માર્ગ પર ભક્તોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મંદિરે જતા અનેક વાહનો ફસાઈ ગયા હતા.