રાજ્યના બહુચર્ચિત બિલકિસ બાનું કેસમાં 11 આરોપીને જેલ મુક્ત કરાયા છે. બિલકિસ બાનુ કેસ 11 આરોપીઓને જેલ મુક્ત કરવા રાજ્ય સરકારે હુકમ કર્યો હતો. મહત્વનું છે કે, આ આરોપીઓ પર દાહોદમાં સામૂહિક દુષ્કર્મ, હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. આ મામલે ગુનો નોંધાતા CBIની સ્પેશિયલ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
તમામ આરોપીઓ 18 વર્ષની સજા કાપ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે નિર્ણય લેવા આદેશ કર્યો હતો. જે બાદ રાજ્ય સરકારે આરોપીને જેલ મુક્ત કરવાનો આદેશ આપ્યો. તમામ 11 કેદીઓને મુક્ત કરવાનો હુકમ કરતા આજે તેને જેલ મુક્ત કરાયા. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામૂહિક દુષ્કર્મ પીડિતા બિલકિસ બાનોને 50 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો. આ રકમ તેમને વળતર રૂપે આપવામાં આવી હતી. કોર્ટે સરકારના નિયમો અનુસાર બાનોને એક સરકારી નોકરી અને મકાન આપવાનો પણ આદેશ આપ્યો હતો. આ સિવાય બિલકિસ બાનો સરકારી નોકરી અને તેમની પસંદગીની જગ્યા પર સરકારી આવાસ ઉપલબ્ધ કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. તા. 3 માર્ચ, 2002ના રોજ દાહોદ પાસે દેવગઢ-બારીયા ગામમાં ટોળાએ બિલકિસ બાનુંનો અને તેમના પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન 7 લોકોની હત્યા કરી દેવાઈ હતી, અને બિલકિસ પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યું ત્યારે બિલકિસને 5 મહિનાનો ગર્ભ હતો. આ મામલે તા. 21 જાન્યુઆરી 2008માં મુંબઈ કોર્ટ 12 લોકોને હત્યા અને દુષ્કર્મના આરોપી જાહેર કર્યા હતા.