સમગ્ર રાજ્યમાં વરસી રહ્યો છે કમોસમી વરસાદ
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકાર
જિલ્લા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાય તારાજી
અલગ અલગ જગ્યાએથી 100 લોકોનું રેસ્ક્યૂ કરાયું
ધારાસભ્યો સહિતના આગેવાનો લોકોની વ્હારે આવ્યા
ખેતી-પાકમાં નુકશાન સામે સહાય વળતરની માંગ
સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે, ત્યારે અમરેલી જિલ્લા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ પડતાં નદી-નાળા છલકાઇ ગયા છે, ખેતરો જળબંબાકાર થવા સહિત અનેક રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. તો બીજી તરફ, રાજુલાના ધાતરવડી ડેમ-2ના એક સાથે 19 દરવાજા ખોલાતા નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ તરફ, રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. રાજુલાના સમઢીયાળા બંધારાનું પાણી આવતા સગર્ભા મહિલા દર્દીને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં JCBની મદદથી મહિલાને પાણીના પૂર વચ્ચેથી બહાર કાઢી 108 મારફતે રાજુલા હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. તો બીજી તરફ, રાજુલા પંથકના રામપરા અને L&T કંપની વચ્ચે પણ વરસાદી પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. જેમાં રામપરા જવાના કોઝ-વે પર પૂરના પ્રવાહમાં દૂધની કેન ભરેલી ગાડી અટવાઈ હતી. જેમાં મોત સામે ઝઝૂમી રહેલા વાહન ચાલકને દોરડા વડે મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેના પરિણામે અમરેલીના ખેડૂતો પાયમાલ બન્યા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. પશુઓ માટે રાખવામાં આવેલો ચારો પણ નાશ પામ્યો છે, જેના કારણે પશુધન માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદના પગલે ઘોબા, પીપરડી, ભમોદ્રા ગામમાં ખેતી-પાકોને વ્યાપકપણે નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.
આ તરફ, અમરેલીના ખાંભા તાલુકામાં પણ ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇને ખાંભાનો રાયડી ડેમ છલકાઇ જતાં પાંચ દરવાજા 2-2 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇને નિચાણવાળા વિસ્તારો જેવા કે, મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ડેમ કે, આજુબાજુના વિસ્તારમાં ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે, જ્યારે ખાંભાના તાતણીયા ગામની નંદીમા પૂર આવતા ખોડીયાર મંદિર નજીક નદીના પ્રવાહના ઘોઘના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ગામના ખેડૂતોના મગફળીના પાથરા પલળી જતાં મોટું નુકશાન થયું છે. જિલ્લાના લાઠી પંથકની વાત કરીએ તો, ઠાંસા ગામે વરસાદના કારણે કાચુ મકાન ધરાશાયી થયું હતું. ઠાસા ગામે 24 કલાકથી વરસાદ વરસતા સામત પરમારનું મકાન અચાનક ધરાશાયી થયું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ મકાનમાં રહેલ માલ-સામાનમાં મોટું નુકશાન થયું છે.
ભારે વરસાદના પગલે અમરેલી નજીકથી પસાર થતાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે સહિત અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. તો બીજી તરફ, ખેતરો પાણીમાં તરબોળ થતાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ધાતરવડી ડેમ-2 દરવાજા ખોલાતા ખાખબાઈ, હિંડોરણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઇ અને ભચાદ સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ધારતવડી નદીના પાણી ફરી વળતાં રાજુલા તાલુકાનું ઉંચેયા ગામ સંપર્ક વિહોણુ થઇ ગયું છે. અહીં વાડી વિસ્તારમાં 50 જેટલા શ્રમિકો ફસાઇ જતાં રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી પાણીના ધમસમતા પ્રવાહમાંથી પસાર થઇને પહોંચ્યા હતા. આ સાથે જ પીપાવાવ મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંતી હતી, અને ફસાયેલા 50 લોકોનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લાની અલગ અલગ 3 જગ્યાએથી 50થી 100 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પાણીમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે રાજુલામાં બચાવ કામગીરી માટે એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ તરફ, સાવરકુંડલાના ઘારાસભ્ય મહેશ કસવાલાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં ભારે વરસાદથી ખેડૂતોને થયેલ ભારે નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેતી-પાકને થયેલ નુકસાન સામે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.