અંકલેશ્વરમાં સર્જાયો ઔદ્યોગિક અકસ્માત
ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ બ્લાસ્ટ થતા ચારના મોત
સર્જાયેલી ઘટનાના પગલે સર્જાઈ અફરાતફરી
MEE પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતા સર્જાઈ દુર્ઘટના
વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાઇ તપાસ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના બની છે.ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાનુઁ જાણવા મળ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. કંપનીના MEE પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરો તેમજ ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે,અને જરૂરી તપાસ શરુ કરી છે.