New Update
-
અંકલેશ્વરમાં આગ લાગવાની ઘટનામાં વધારો
-
સ્ક્રેપ માર્કેટમાં વારંવાર બને છે આગના બનાવ
-
જીપીસીબી આવ્યું હરકતમાં
-
ગેરકાયદેસર રીતે સ્ક્રેપ નિકાલ કરનાર ઉદ્યોગો પર થશે કાર્યવાહી
-
ગોડાઉન માટે જમીન ભાડે આપનાર સામે પણ ગુનો નોંધાશે
અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની વારંવારની ઘટના બાદ જીપીસીબી હવે હરકતમાં આવ્યું છે. આવા મામલાઓમાં સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.એક પછી એક સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ત્યારબાદ પણ સતત ત્રીજા દિવસે આ જ સ્ક્રેપ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો ત્યારે મોડે મોડે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવે હરકતમાં આવ્યું છેમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગેરકાયદેસર સ્ક્રેપનો નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સ્ક્રેપના ગોડાઉન માટે જમીન આપનારા જમીનના માલિકો સામે પણ ગુનો દાખલ કરાશે. અંકલેશ્વરમાં જમીન ભાડે રાખી ગેરકાયદેસર રીતે સ્ક્રેપના માર્કેટ અને ગોડાઉન ઉભા કરવામાં આવે છે જેની સામે તંત્રએ હવે લાલ આંખ કરી છે.ઉદ્યોગો પણ ઘણીવાર સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરે છે જેને સ્ક્રેપ ગોડાઉનમાં રાખવામાં આવે છે અને આગ સહિતની વારંવાર ઘટનાઓ બને છે જેને ધ્યાને લઈ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજયોનલ ઓફિસર વિજય રાખોલીયાએ જણાવ્યું હતું કે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ ન કરવા માટે ઉદ્યોગોને જાણ કરવામાં આવશે અને આમ છતાં જો આવી કોઈ પણ પ્રવૃત્તિ માલુમ પડશે તો તેમની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર પાનોલીમાં આવેલ ભંગારના ગોડાઉનોમાં અવારનવાર આગના બનાવો નોંધાયા છે, આ અંગે ઔધ્યોગિક વેસ્ટ, પ્લાસ્ટિક બેરલ અને બેગો નો સંગ્રહ કરાય છે જેને કારણે પર્યાવરણને ભારે નુકશાન થાય છે.અનેક કિસ્સાઓમાં જમીનો ભાડે રાખીને ગેર કાયદેસર રીતે વેસ્ટ સંગ્રહ કરાય છે અને સમયાંતરે લાગતી આગને કારણે પ્રદૂષણ ફેલાય છે.આ ઘટનાઓની રાજ્ય સ્તરે નોંધ લેવાતા GPCBએ કડક વલણ હાથ ધર્યું છે.