-
અંકલેશ્વરમાં બન્યો હતો બનાવ
-
સ્ક્રેપના ગોડાઉનમાં લાગી હતી આગ
-
8 ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી
-
તંત્ર સંચાલકોને પાઠવશે નોટીસ
-
તંત્ર કડક કાર્યવાહી ક્યારે કરશે ?
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સ્ક્રેપના 8 ગોડાઉન ભડકે બળવાના મામલામાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે.તંત્ર દ્વારા ગોડાઉનના સંચાલકોને નોટિસ પાઠવી ફાયર સેફટી અંગેના ખુલાસા પૂછવામાં આવશે
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા નોબેલ માર્કેટમાં ગતરોજ સમીસાંજના સમયે સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્ક્રેપના આઠ ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગને કાબૂમાં લેવા માટે અંકલેશ્વર ભરૂચ પાનોલી, ઝઘડિયા તેમજ ખાનગી કંપનીના 12થી વધુ ફાયર ટેન્ડરોએ 70થી વધુ રાઉન્ડ લગાવી લગભગ છથી સાત કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે આ મામલામાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે.આ અંગે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આગ લાગવાના મામલામાં સ્ક્રેપના ગોડાઉન સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમને નોટિસ ફટકારી ફાયર સેફટી અંગેના ખુલાસા પૂછવામાં આવશે.
નેશનલ હાઇવેને અડીને મોટી સંખ્યામાં સ્ક્રેપના ગોડાઉન ધમધમે છે જેને તંત્રએ પરવાનગી પણ આપી નથી ત્યારે પર્યાવરણવાદીઓ સિસ્ટમ અને ઉદ્યોગોને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે અને આ અંગે કડક પગલાં ભરવાની પણ માંગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 8 ગોડાઉનમાં આગના પગલે ધુમાડાના કારણે નજીકમાં આવેલા ભદકોદ્રા ગામના રહીશોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો પણ ઉઠી હતી.સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગ લાગવાના બનાવો બને છે છતાં પણ તંત્ર નોટિસ પાઠવી સંતોષ માને છે ત્યારે આ મામલામાં હવે કડક કાર્યવાહીની જરૂરિયાત ઊભી થઈ છે.