અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ, સંજયનગરમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા પણ કોઈ નિરાકરણ નહીં!

ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સતત વરસાદ વરસી રહ્યો છે,અને ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે,

New Update

ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સતત વરસાદ વરસી રહ્યો છે,અને ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે,જ્યારે અંકલેશ્વરમાં 2.6 ઇંચ વરસાદ ખાબકતા નગરપાલિકા પ્રમુખના વોર્ડ સંજયનગરમાં પાણી ભરાયા હતા.જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

નગરપાલિકા પ્રમુખના વોર્ડ સંજયનગરમાં પાણી ભરાયા

ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેને પગલે તારીખ 2જી સપ્ટેમ્બરથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.જાણવા મળ્યા મુજબ અંકલેશ્વરમાં વીત્યા ચોવીસ કલાકમાં 2.6 ઇંચ વરસાદ વરસ્યો હતો,જેના કારણે અંકલેશ્વર શહેરના સંજયનગરમાં વરસાદી પાણી ભરાઇ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સ્થાનિક રહીશોએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વર્ષોથી સંજયનગરમાં પાણી ભરાવાની સમસ્યા છે,પરંતુ તેનું કોઈ જ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવતુ નથી,માત્ર ચૂંટણી સમયે મત માંગવા માટે નેતાઓ દોડી આવે છે તેઓ આક્ષેપ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે સંજયનગર નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના વોર્ડમાં આવે છે,પાલિકા પ્રમુખનો વોર્ડ હોવા છતાં વરસાદી પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ ન હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.જ્યારે આ અંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતે કનેક્ટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાલિકા તંત્ર સંજયનગરની સમસ્યાથી પરિચિત છે અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે,જે અંગે આવનાર સમયમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે.   
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.