-
મુંબઇનો પરિવાર કાળનો કોળિયો બન્યો
-
નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત
-
ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાતા સર્જાયો અકસ્માત
-
કારમાં સવાર ત્રણ યુવાનોના કરૂણ મોત
-
ચાર ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે ખસેડાયા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસે પાછળ ચાલતા વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતા ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ હતી, સર્જાયેલા અકસ્માતમાં 7 પૈકી 3 યુવાનોના ગંભીર ઈજાને પગલે કરુણ મોત નિપજ્યા હતા,જ્યારે ચાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મુંબઇના પાલઘરનો પરિવાર 6 જાન્યુઆરીના રોજ અજમેર ખાતે ગયો હતો.ત્યાંથી પરિવાર કારમાં મુંબઇ ખાતે જવા રવાના થયો હતો.તે દરમિયાન રાતે 3 કલાકે અંકલેશ્વર હાઇવે ઉપર સુરત તરફના ટ્રેક પર બાકરોલ બ્રિજ પાસે પાછળથી ધસી આવેલ વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતી ટ્રકમાં ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 32 વર્ષીય તાહિર શેખ,23 વર્ષીય આર્યન ચોગલે અને 25 વર્ષીય મુદ્દસરન જાટનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે કારમાં સવાર અન્ય ચાર લોકોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અકસ્માતને પગલે પાનોલી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ સર્જાયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો,જેના કારણે ક્રેઈનની મદદથી ઇજાગ્રસ્તોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.સર્જાયેલી ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાય ગયો હતો.પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે પ્રયત્ન કરીને વાહન વ્યવહારને રાબેતા મુજબ શરૂ કર્યો હતો.