New Update
-
ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી અકળાયા
-
ભાજપના જ મોવડી મંડળ સામે વિરોધ
-
ઝઘડિયા તાલુકા ભાજપના પ્રમુખની વરણીનો વિરોધ
-
સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી વિરોધ નોંધાવ્યો
-
ભરૂચના રાજકારણમાં નવાજુનીના એંધાણ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના 12 મંડળોના પ્રમુખની વરણીને આવકારી છે જ્યારે ઝઘડિયા તાલુકા પ્રમુખ તરીકે સંદીપ પટેલની નિયુક્તિનો સખત વિરોધ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ લોકસભા મતવિસ્તારમાં બધા જ તાલુકા, શહેર એકમોમાં સંગઠનનાં પ્રમુખોની જે વરણી થઈ એ તમામને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આવકારી છે. જોકે ઝઘડિયા તાલુકામાં સંદીપ પટેલની પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે જેનો સાંસદે પોતાના સોશિયલ મીડિયા પર સખત વિરોધ કર્યો છે.સાંસદ મનસુખ વસાવાએ પોસ્ટ કરી છે કે, સંદીપભાઈ પટેલે તાલુકામાં ક્યારે ભાજપનું કામ કર્યું નથી. તે તેમના ગામ પૂરતા જ સીમિત છે. તાલુકા અને જીલ્લા સંગઠનમાં જે વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છે તેઓની અવગણના થઈ છે.સંદીપ પટેલનું પાર્ટીમાં યોગદાન નથી અને લોકસભામાં પણ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હોવાનું સાંસદે આક્ષેપ કર્યો છે.
વધુમાં ફૂલવાડી ગામે તેમના કાર્યક્રમને પણ નિષ્ફળ બનાવવા તનતોડ મહેનત કરી હોવાનો રોષ ઠાલવ્યો છે. સેવસેતુ કે અન્ય કોઈ પણ સાંસદના કાર્યક્રમમાં સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા નથી. તે માત્ર ધંધાકીય વ્યક્તિઓ સાથે જોડાયેલા અને આ ધંધાકીય હિત ધરાવનારાઓએ પ્રદેશને ગેરમાર્ગે દોરી પ્રમુખ બનાવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ખરેખર તો ઝઘડિયા આદિવાસી બાહુલ્ય તાલુકામાં આદિવાસી ઉપરાંત પટેલ અને રાજપૂત આ ત્રણ સમાજનું પ્રભુત્વ છે. અને તેઓ વર્ષોથી ભાજપને સમર્થન કરી રહ્યા છે. ત્યારે આ ત્રણ સમાજમાંથી એક સમાજના વ્યક્તિને પ્રમુખ બનાવવાની હિમાયત કરી છે.
જ્યારે વર્તમાન પ્રમુખ સંદીપ પટેલએ પટેલ જ્ઞાતિના નહિ હોવાનો પણ ખેદ વ્યક્ત કર્યો છે. અંતમાં મનસુખ વસાવાએ લખ્યું છે કે, સંદીપભાઈએ તેમનો વિરોધ કરી લોકસભામાં પાર્ટી વિરૂદ્ધ કામ કર્યું હોય જેને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ તરફ નવ નિયુક્ત પ્રમુખ સંદીપ પટેલના ગુનાઇત ભૂતકાળનો પણ મનસુખ વસાવાના ટેકેદારો હવાલો આપી રહ્યા છે ત્યારે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના જ સાંસદે પ્રમુખની વરણીને લઇ સવાલ ઉઠાવતા આવનારા સમયમાં નવાજૂનીના એંધાણની શક્યતા વર્તાય રહી છે.