ભાવનગર : પાણી ભરાયેલા વિસ્તારોમાં પોરાભક્ષક માછલી મૂકીને મચ્છર અટકાયતી પગલાં લેતું આરોગ્ય તંત્ર
ચોમાસાની સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે, અને આ મચ્છરોને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોનું સંક્રમણ પણ ચોમાસાની ઋતુમાં વધે છે. જોકે, આ રોગો તેમજ મચ્છરની ઉત્પત્તિ થતી અટકાવવા માટે પોરાભક્ષક માછલી કારગત સાબિત થઈ છે, ત્યારે ભાવનગર જિલ્લામાં વિવિધ પાણીના ખાડા-ખાબોચિયાઓમા પોરાભક્ષક માછલી મૂકીને તેનું નિયંત્રણ કરવાના ઉપાયો આદરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ઘેર-ઘેર પોરાનાશક કામગીરી, સર્વેલન્સ, લોહીનાં નમૂના લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વેકરિયા, ડો. તાવીયાડના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી.બોરીચા અને તેમની ટીમ સિહોર તાલુકા હેલ્થ ઓફિસર ડો. જયેશ વકાણી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલ પંડિત દ્વારા ઘેર-ઘેર પોરાનાશક કામગીરી, સર્વેલન્સ, લોહીનાં નમૂના લેવા તેમજ ગપ્પી પોરાભક્ષક માછલી જુદા-જુદા સ્થળે મૂકી પગલાં લેવાઈ રહ્યા છે. આ કામગીરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉસરડના મેડિકલ ઓફિસર ડો. દર્શન ઢેઢીની સૂચનાથી ઉસરડના સુપરવાઈઝર રામદેવસિંહ ચુડાસમા, આરોગ્ય કર્મચારી કેતન બોરીચા, જે.ડી.ગોહિલ, રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય ઉસરડની ટીમના ડો. રૂપલ વૈષ્ણવ, ડો. સંજય ખીમાણી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરાથી ગપ્પી માછલી લઈને મોટા સુરકા, વાળાવડ ગામોમાં કાયમી ભરાઇ રહેતાં તળાવ, નાળા, વાડીઓના કૂવામાં પોરાભક્ષક ગપ્પી માછલી મૂકીને મચ્છર ઉત્પત્તિ અટકાવીને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા રોગ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.