-
હર્ષદના મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરીનો મામલો
-
શિવરાત્રિના આગલે દિવસે અજાણ્યા શખ્સોએ કરી ચોરી
-
પોલીસે શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોને ઝડપી પાડ્યા
-
શિવલિંગની ચોરી મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો
-
યુવતીને પૈસાદાર થવાનું સપનું આવતા ચોરી કરી : પોલીસ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરનાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં યુવતીને પૈસાદાર થવાનું સપનું આવતા આ શિવલિંગની ચોરી કરી હોવાનો મોટો ખુલાસો થયો છે.
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના રહીશ મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને રાત્રિના સમયે એક સપનું આવ્યું હતું. જેમાં દ્વારકા જિલ્લાના હરસિદ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે, તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે. જેને અનુલક્ષીને જગતસિંહ ઉદયસિંહ મકવાણા, વનરાજસિંહ સમરસિંહ મકવાણા, મનોજ અમરતસિંહ મકવાણા અને મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા તથા અન્ય 3 મહિલાઓ સહિતના લોકોએ શિવલિંગની ચોરી કરવાનું કાવતરું રચ્યું હતું.
જુદાં જુદાં 2 વાહનોમાં હર્ષદ આવીને આ તમામ શખ્સો રોકાયા હતા. થોડા દિવસો તેઓએ અહીં રોકાઈને રેકી કરી હતી. શિવરાત્રિના એક દિવસ પૂર્વે હર્ષદના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગ તેઓ પોતાના વતન હિંમતનગર (જી. સાબરકાંઠા) ખાતે લઈ ગયા હતા, અને અહીંથી ચોરેલા શિવલિંગની પોતાના ઘરે સ્થાપના કરી દીધી હતી. એટલું જ નહિં, તેઓએ શિવરાત્રિના દિવસે આ શિવલિંગની પૂજા પણ કરી હતી. આમ, શિવલિંગની થયેલી ચોરી સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની ગઈ હતી. જે સંદર્ભે જિલ્લા પોલીસવડાએ ડીવાયએસપી, એલસીબી અને એસઓજીના તમામ અધિકારીઓની ટીમ સાથે SITની રચના કરી હતી. આ ઉપરાંત ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી, ત્યારે જિલ્લા પોલીસે સમગ્ર મામલે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.