બાળ કેળવણીના ભીષ્મ પિતામહ એવા સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મ દિવસને પ્રતિવર્ષ રાજ્યમાં બાળવાર્તા દિન તરીકે ઊજવવાની શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગર્વભેર જાહેરાત કરી છે, ત્યારે સ્વ. ગિજુભાઈ બધેકાની ૧૩૭મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે પ્રતિમાને ફૂલહાર કરી તેઓને યાદ કરવામાં આવ્યા હતા.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ગિજુ બધેકાના વિચારો માત્ર એક દિવસ પૂરતા સીમિત ન રહેતા તે ચિરંજીવ બની રહેવા જોઈએ અને તેને લોકોના સ્મરણ સુધી પહોંચાડવા માટે રાજ્યમાં આખા વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને સાકાર કરવા માટે કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે. જેના દ્વારા વિવિધ કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવશે. સ્વ. ગિજુભાઈ બધેકાના બાળ કેળવણીના ઘડતર અને સંસ્કારોની જરૂરિયાત આજે પણ છે અને તેને લોકો સુધી લઈ જવા માટે રાજ્યના કેબલ નેટવર્ક પર પણ તેને અડધો કલાક સુધી વિવિધ વાર્તાકારો દ્વારા બાળવાર્તાના માધ્યમથી રજૂ થાય તે માટેના પણ પ્રયત્નો કરવામાં આવશે. શિક્ષણમંત્રીએ આ નવા વિચારને મૂર્તિમંત બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હકારાત્મકથી આવકાર્યો છે, તે માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્વ. ગિજુભાઈ બધેકાએ ૮૦ વર્ષ પહેલાં જે વિચારબીજ રોપ્યાં હતાં તે આજે વટવૃક્ષ બન્યાં છે અને તેનો છાયડો અનેક બાળકોએ લીધો છે, ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્વ. ગિજુભાઈ બધેકાની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી આદરાંજલી વ્યક્ત કરી હતી.