/connect-gujarat/media/post_banners/4cb90e38244b2f4bbf54bcf405690daeceff566e2a55d7395d8385fa7bc89093.jpg)
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળી હતી. આ અકસ્માતમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ રહેતો પરિવાર રાત્રિના સમયે કાર નં. GJ-06-PR-2526માં નીકળ્યો હતો, અને ઉનાથી દીવ તરફ જઇ રહ્યો હતો, ત્યારે ઉના શહેરના શિવાજી પાર્કની સામેના ભાગે ખાઉગલી પાસે મુખ્ય રસ્તા પર કોઈ વાહનને બચાવવા જતા કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર પાઉંભાજીની દુકાનમાં ઘૂસી ગઈ હતી. જોકે, આ દુકાન બહારના ઓટલે એક અસ્થિર મગજના દિનેશ ગાંધી નામના વૃદ્ધ સૂતા હતા, તેમની ઉપર કાર ફળી વળતાં લોહીલુહાણ હાલતમાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતની ઘટનામાં દુકાનનું શટર, કાચ, ટેબલો તેમજ દુકાનના દીવાલના પિલરો, એક બાઇક સહિત કારમાં પણ ભારે નુકશાન થયું હતું. આ કારમાં એક જ પરિવારના બાળકો સહિત 4 જેટલા વ્યક્તિઓ સવાર હતા. કાર એટલી બધી સ્પીડમાં હતી કે, અકસ્માત સર્જાતા કારની અંદર એરબેગ પણ ખુલી ગઇ હતી. કારમાં બેઠેલા 4 વ્યક્તિઓમાંથી એક બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય વ્યક્તિઓને નાની-મોટી ઇજા પહોંચતા તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાતા રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો તેમજ આજુબાજુના લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદનો પરિવાર જે કારમાં સવાર હતો, તે કારના આગળના ભાગે ગવર્નમેન્ટ ઓફ ગુજરાતનું બોર્ડ લગાવેલું હતું તેમજ પાછળના ભાગે ડોક્ટરનો સિમ્બોલ જોવા મળ્યો હતો. જોકે, આ અકસ્માતમાં વૃદ્ધનું મોત નીપજતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.