પ્રવાસન અને મત્સ્યોઘોગ મંત્રી જવાહર ચાવડા દ્વારા જામનગર સર્કિટ હાઉસ ખાતે માછીમારોના પ્રશ્નોના નિરાકરણ અર્થે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીએ જામનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઉપસ્થિત રહેલ માછીમારોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી.
જામનગરના માછીમારો દ્વારા સિકકા જેટી, નવી બોટોના રજીસ્ટ્રેશન, બાયોમેટ્રિક કાર્ડ, ઓફ સિઝનમાં બહારના વિસ્તારની બોટો દ્વારા કરવામાં આવતી માછીમારી, માછીમારોના દરિયામાં થતાં મૃત્યુ બાદ સહાય તેમજ આ વર્ષે ઓફ સિઝનને લંબાવાતા માછીમારોના ગુજરાન વગેરે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. માછીમારો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા મંત્રીએ અધિકારીઓને ખાસ સૂચનાઓ આપી માછીમારોના પ્રશ્રોના નિરાકરણની ખાતરી આપી હતી. મંત્રી દ્વારા યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લોક લાગણીને વાચા મળે, લોકપ્રશ્નોનું તત્કાલ નિવારણ થાય એ જનપ્રતિનિધિઓનું કર્તવ્ય છે, ત્યારે મંત્રી જવાહર ચાવડા દ્વારા યોજાયેલી બેઠક જનતા અને સરકાર વચ્ચેનો સાચો સેતુ સાબિત થઇ હતી.