-
વાયુસેનાનું ફાઈટર પ્લેન થયું ક્રેશ
-
પ્લેન આગના ગોળામાં ફેરવાયું
-
પ્લેનમાં બે પાયલોટ હતા સવાર
-
એક ટ્રેઈની પાયલોટનું નીપજ્યું મોત
-
પોલીસ દ્વારા શરૂ કરાઇ તપાસ
જામનગર તાલુકાના સુવરડા ગામમાં બુધવારે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું, અને પ્લેન આગના ગોળામાં ફેરવાયું હતું. જે સળગતું પ્લેન સુવરડા ગામની સીમ વિસ્તારમાં પડયું હતું, જે સળગતા પ્લેનમાંથી બે પાયલોટ કૂદી ગયા હતા. પરંતુ એક ટ્રેઈની પાયલોટનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે બીજા પાયલોટને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
જામનગર શહેરથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલ સુવરડા ગામમાં વાડી વિસ્તારમાં સૂકા ઘાસના જથ્થામાં સળગતા પ્લેનનો કાટમાળ પડવાના કારણે આગ લાગી હતી, જેના કારણે ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો, અને એરફોર્સના અધિકારીઓ તેમજ જામનગર જિલ્લાના પોલીસ અને વહીવટી શાસનના તમામ ઉચ્ચ અધિકારીઓ વગેરે દોડતા થયા હતા.
જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા, અને રેસ્ક્યુ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.
ફાઇટર પ્લેન ક્રેશ બાદ આગ લાગવાની ઘટના બનતા જામનગર મહાનગરપાલિકા ફાયર બ્રિગેડની ટુકડીને દોડતી કરવામાં આવી હતી, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે તુરંત જ પહોંચી ગઈ હતી. અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટના બાદ સુવરડા ગામ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.પોલીસ વિભાગની ટીમ તથા એરફોર્સ વગેરેની ટીમે દોડી જઈ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્લેન ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જે મામલે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.
ફાઈટર પ્લેનમાં બે પાયલોટ ટ્રેનિંગ અર્થે જેગુઆર ફાઈટર પ્લેન લઈને નીકળ્યા હતા,ત્યારે અચાનક કોઈ કારણોસર પ્લેન ક્રેશ થયું હતું. જેના પગલે સમગ્ર વિસ્તાર આગની લપેટમાં જોવા મળ્યો હતો. તો બીજી તરફ ફાઈટર પ્લેનના ટૂકડે ટૂકડા વિખરાયેલા જોવા મળ્યા હતા.