Connect Gujarat
ગુજરાત

આજે સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ; સમગ્ર વિશ્વ તેમને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખે છે

આજે સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ; સમગ્ર વિશ્વ તેમને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખે છે
X

સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની રાજ્યભરમાં સવાસોમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરૃદ આપ્યું હતું એ મેઘાણી સરકાર માટે વર્ષો સુધી અછૂત હતા. પરંતુ હવે સરકાર તેના માટે વિવિધ કાર્યક્રમો કરી રહી છે અને જન્મજયંતિની ઉજવણી પણ કરે છે.

રાષ્ટ્રીય શાયર તરીકે સમગ્ર વિશ્વ જેમને ઓળખે છે એવા મૂર્ધન્ય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મજયંતિ છે. સૈકાઓથી મેઘાણીજીના સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે અને આજે પણ મેઘાણીજીનું સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે. પાળિયાને પણ બેઠા કરનાર અને લોકસાહિત્યના મોતી ઘર ઘર સુધી પહોંચાડનાર મેઘાણીજીનો ભાવનગર સાથે પણ અતૂટ નાતો રહ્યો છે.

મેઘાણીજી ઇ.સ.1912 થી 1916 દરમિયાન સંસ્કૃત તથા અંગ્રેજીના પાઠ ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યા હતા અને અહીંથી જ તેઓએ સ્નાતકની પદવી હાંસલ કરી હતી. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ગામડાઓ ખૂંદી વળી ઐતિહાસિક અને દુર્લભ સાહિત્યનું સંકલન કરવાનું ભગીરથ કાર્ય તેમના દ્વારા પૂર્ણ થયું છે. તેમની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનું ધાવણ, માણસાઈના દિવા વગેરે રચનાઓ આજે પણ લોકોને વીરતા, પ્રેમ, કરૂણા, દયાભાવ અને ખાનદાનીના પાઠ શીખવે છે.

કવિ, લેખક, પત્રકાર, વિવેચક અને લોકસાહિત્યના સંશોધક-સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ તા.28/08/1896 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો. તેઓના પિતાનું નામ કાળીદાસ અને માતાનું નામ ધોળીબાઈ હતું. મૂળ અમરેલી જિલ્લાના બગસરા પંથકના વતની જૈન વણિક પરિવારના પિતા કાળીદાસ મેઘાણી બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતાં હતાં.

તેઓએ નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ-વર્ણન તેમજ સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય, વિવેચન,લોકકથા અને લોકગીત જેવા વિવિધ વિષયોના આશરે 88 જેટલાં પુસ્તકોનું લેખન કર્યું, પ્રગટ થયા અને ખૂબ જ આવકાર પામ્યા હતાં. લોકસાહિત્યના સંશોધન કાર્ય માટે તેઓને સર્વ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેઓની સ્મૃતિમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઈ.સ. 1999 માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. તા.09/03/1947 ની મધ્યરાત્રિએ બોટાદ ખાતે હૃદયરોગને કારણે તેઓનું અવસાન થયું હતું.

Next Story