ખેડા નજીકથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર સુરેન્દ્રનગરના વતની અને જોશી પરિવારની કારનોગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, ત્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત 2 વ્યક્તિના કમકમાટી ભર્યાં મોત નીપજ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય 2 લોકોને સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ખેડા નજીકથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 48 પર વાત્રક નદીના બ્રિજ પાસે બુધવારની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વડોદરા તરફ જતી કાર નં. GJ-13-NN-3724ના ચાલકે એકાએક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર હાઈવેના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં ઉદય રાવલનું ઘટના સ્થળે, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યુ હતું. આ ઉપરાંત કારમાં સવાર આનંદી રાવલ અને મેહુલ જોશીને ઈજા પહોચતા સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ એક વ્યક્તિને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ખેડા ટાઉન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતો. ડિવાઈડર સાથે અથડાવાના કારણે કારના આગળના ભાગનો લોચો વળી ગયો હતો. જેને જોતાં કાર ખૂબ જ સ્પીડમાં હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આ કાર સુરેન્દ્રનગર જિલ્લાના પાર્સિંગ તેમજ સ્થળ પરથી મળેલા લાઇસન્સના આધારે કર્મા સવાર તમામ લોકો સુરેન્દ્રનગરના વતની અને જોશી પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું.