MLA જિજ્ઞેશ મેવાણીની ધરપકડ મુદ્દે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ ગુજરાત અને આસામ સરકારને આપી નોટિસ
બનાસકાંઠાના વડગામ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવેલ ટ્વીટને લઈને આસામમાં પોલીસ ફરિયાદ થઈ હતી
બનાસકાંઠાના વડગામ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવેલ ટ્વીટને લઈને આસામમાં પોલીસ ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ લઈને આસામ પોલીસ દ્વારા 26 એપ્રિલના રોજ જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસ માંથી મોડી રાત્રે ધરપકડ કરી હતી આ સમગ્ર બાબતે વિરમગામ ના રહેવાસી સામાજિક અગ્રણી અને દલિત અધિકાર મંચ ના સંયોજક કિરીટ રાઠોડે 26 એપ્રિલ એક પિટિશન દાખલ કરી છે.
જિજ્ઞેશ મેવાણીની ધરપકડ મુદ્દે અનેક માનવ અધિકાર ભંગના સવાલો ઉભા કરીને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન સમક્ષ પિટિશન દાખલ કરી હતી, જેને લઈને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ આ સમગ્ર હકીકત ગંભીરતાથી લઈને ગુજરાત અને આસામ રાજ્યના મુખ્ય સચિવોને લેખિત નોટિસ આપીને ૩૦ દિવસમાં કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે. આયોગે એ પણ નોંધ્યું છે કે જરૂર પડશે તો આયોગને મળેલી સત્તાની રુએ સમન્સ કાઢીને બોલાવવામાં આવશે.ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડ સહિત માનવ અધિકાર ભંગ તેમજ સુપ્રીમ કોર્ટ દ્વારા લલીતા કુમારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશના કેસમાં આપવામાં આવેલ ચુકાદા મુજબ ધરપકડ સામે અપાયેલા રક્ષણની જોગવાઈઓનો ભંગ થયો છે. તેમજ ધારાસભ્ય તરીકે તેમને વિશેષ અધિકાર પ્રાપ્ત થયા છે તેનો ભંગ થયો છે. આ ઉપરાંત બંધારણીય અધિકારો વાણી અભિવ્યક્તિ અને કાયદાનું સમાન રક્ષણ, ગૌરવ પૂર્વક જીવન જીવવાનો અધિકાર નો ભંગ થયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ડી.કે. બાસુ વિરૂદ્ધ પશ્ચિમ બંગાળના ચુકાદા મુજબ આસામ પોલીસે કામગીરી કરી નથી. જેને લઈને અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારોના રક્ષણ માટે બનેલ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ સમક્ષ સમગ્ર હકીકત રજૂ કરવામાં આવી હતી. જેને લઈને આયોગને આ હકીકત ગંભીર જણાતા ગુજરાત એકમના આયોગના નિયામક દ્વારા ગુજરાત અને આસામ સરકારના મુખ્ય સચિવને લેખિત નોટિસ પાઠવી, ૩૦ દિવસમાં સમગ્ર બનાવ સવિસ્તૃત અહેવાલ મંગાવ્યો છે