-
વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનું આયોજન
-
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિ
-
AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને મળ્યું જન સમર્થન
-
વિસાવદર ખાતે AAP દ્વારા જન આશીર્વાદ યાત્રા યોજાય
-
ગોપાલ ઇટાલિયા જંગી લીડથી જીતશે : ચૈતર વસાવા
જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર આયોજિત પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં જન આશીર્વાદ યાત્રા યોજાય હતી.
જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક ગુજરાતના રાજકીય નકશા પર વર્ષોથી ભારે રસ ધરાવતી રહી છે. જોકે, ખાલી પડેલી વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી તા. 19 જૂન, 2025ના રોજ યોજાવાની છે, અને 23 જૂને મતગણતરી કરવામાં આવશે. વિસાવદરમાં આ ચૂંટણી માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિશાળ જન આશીર્વાદ યાત્રા યોજાય હતી. ત્યારબાદ વિસાવદર પ્રાંત કચેરી ખાતે વિશાળ જન સમર્થકો સાથે ગોપાલ ઇટાલિયાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આમ આદમી પાર્ટીના સમર્થનમાં વિસાવદર ખાતે લોક જુવાળ ઉમટ્યો હતો. વિસાવદર ખાતે ઉપસ્થિત ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યુ હતું કે, ગોપાલ ઇટાલિયા જંગી લીડથી વિસાવદરમાં ચૂંટણી જીતશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 18 વર્ષથી તમે ભાજપને વિસાવદરમાં ઘૂસવા નથી દીધું. ગુજરાતમાં એમની સરકાર છે, પણ વિસાવદરમાં ભાજપની સરકાર નથી. પહેલાં તમે કોંગ્રેસને વોટ આપ્યો પછી, AAPને સપોટ કર્યો. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવો તો હું રાજકારણ છોડી દઇશ. વિસાવદર ખાતેથી અરવિંદ કેજરીવાલએ ભાજપને પણ ચેલેન્જ કરી હતી. અને કોંગ્રેસને આડેહાથ લેતા કોંગ્રેસ પક્ષ ભાજપની નોકરી કરે છે, તેવું પણ તેઓએ પોતાના ભાષણમાં જણાવ્યુ હતું. આ યાત્રામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન, ઈસુદાન ગઢવી, ચૈતર વસાવા, દુર્ગેશ પાઠક, ગુલાબસિંહ જાદવ અને મનોજ સોરઠિયા સહિતના પાર્ટીના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.