રાજ્યના મોટા ચાર મંદિરને 2 વર્ષમાં રૂ.164 કરોડથી વધુનું દાન મળ્યું
રાજ્યના અંબાજી, સોમનાથ, દ્વારકા અને બહુચરાજી મંદિરમાં છેલ્લા બે વર્ષમાં દાન સ્વરૂપે અંદાજે રૂ.164 કરોડ મળ્યા છે.
રાજ્યના અંબાજી, સોમનાથ, દ્વારકા અને બહુચરાજી મંદિરમાં છેલ્લા બે વર્ષમાં દાન સ્વરૂપે અંદાજે રૂ.164 કરોડ મળ્યા છે. અંબાજીમાંથી 2021માં 31 કરોડ, 2020માં 35 કરોડનું દાન મળ્યું છે. એ જ રીતે સોમનાથ માંથી 2020માં 35 કરોડ અને 2021 માં 41 કરોડ દાન મળ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ નું કહેવું છે કે, મંદિરોને મળતા દાનના કરોડો રૂપિયાનો ઉપયોગ હિન્દુ સમાજ માટે કરવામાં આવે તેવો કાયદો હોવો જોઈએ. આ કાયદો દેશભરના મંદિરોને લાગુ પાડવાની જરૂર છે.સૂત્રોના જણાવ્યા અનુસાર દાનમાં મળતા આ કરોડો રૂપિયાનો વહીવટ પણ સીધી કે આડકતરી રીતે સરકાર જ કરતી હોય છે. દ્વારકાના જગત મંદિર મળતા દાનમાંથી 80 ટકા હિસ્સો પૂજારીના પરિવારોને ભાગે આવતા હોય છે.
જ્યારે લગભગ 15થી 20 ટકા હિસ્સો મંદિરનો વહીવટ કરતી દેવસ્થાન સમિતિના ભાગે આવે છે. માત્ર 2 ટકા ચેરિટી ટ્રસ્ટને મળે છે.અંબાજી, સોમનાથ, દ્વારકા, બહુચરાજી સહિત રાજ્યનાં 32 મંદિરમાંથી સરકારી વહીવટી દૂર કરી દાન પેટે આવતાં કરોડો રૂપિયાનો ઉપયોગ માત્ર હિન્દુ સમાજ માટે કરવાની માગણી વિશ્વ હિન્દુ પરિષદે કરી છે. ઉત્તર ગુજરાતના વિવિધ સંપ્રદાયના સંતોની અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં દેશભરના મંદિરોમાંથી સરકારી હસ્તક્ષેપ દૂર કરવાનો કાયદો કેન્દ્રીય સ્તરે બનાવવાની રજૂઆત કરાઈ છે.વિહિપની કેન્દ્રીય બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ ઠરાવ થયા છે. વિવિધ મંદિરમાં સરકારની દરમિયાનગીરી ન હોય અને મંદિરમાં આવતું ફંડ માત્રને માત્ર હિન્દુ સમાજ માટે જ ઉપયોગમાં લેવાય તેવી માગ છે. બેઠકમાં માગણી કરાઈ હતી કે, જે તે મંદિરના સંચાલનની સંપૂર્ણ સત્તા સ્થાનિક સ્તરે સોંપવી જોઈએ. સંચાલનમાં સ્થાનિક વહીવટી તંત્રના હોદ્દેદાર મંદિરના ટ્રસ્ટ ના મુખ્ય હોદ્દા પર હોવાથી સીધી રીતે સરકાર વહીવટ હોય છે.