અટાર ગામમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર
પોતાની વાડીના કૂવામાંથી જ મૃતદેહ મળી આવ્યો
બનાવના પગલે ઘટના સ્થળે લોકટોળાં ભેગા થયા
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો
વૃદ્ધની હત્યા કે, પછી આત્મહત્યા તે દિશામાં તપાસ
વલસાડ જિલ્લાના અટાર ગામમાં શંકાસ્પદ હાલતમાં 70 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના અટાર ગામમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ લક્ષુભાઈ બાવાભાઈ આહીર છેલ્લા 24 કલાકથી ગુમ હતા. જોકે, વૃદ્ધ ગુમ હોય જેને લઈને સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા શોધખોળ હાથ ધરાય હતી. જેમાં વૃદ્ધનો મૃતદેહ તેમની જ વાડીમાં રહેલા કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ રૂરલ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવ્યો હતો, ત્યારબાદ સ્થાનિકોની મદદથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વૃદ્ધની હત્યા કરવામાં આવી છે કે, પછી વૃદ્ધે આત્મહત્યા કરી છે. તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.