મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, બસ પુલ પરથી નદીમાં ખાબકતા અત્યાર સુધી 15 મુસાફરોના મોત
ખરગોનમાં મંગળવારે એક બસ પુલ પરથી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
મધ્યપ્રદેશના ખરગોનમાં મંગળવારે એક બસ પુલ પરથી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે 25 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. બસ ઈન્દોરથી ડોંગરગાંવ જઈ રહી હતી. અકસ્માત સર્જાયેલી બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા.આ અકસ્માત સવારે 8.40 કલાકે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ડોંગરગાંવ અને દસંગા વચ્ચે બોરાડ નદી પરના પુલની રેલિંગ તોડીને બસ નદીમાં ખાબકી હતી. નદીમાં પાણી નહોતું. એમ્બ્યુલન્સ અને વહીવટીતંત્રના અધિકારીઓ સ્થળ પર હાજર છે. આઈજી રાકેશ ગુપ્તાએ જણાવ્યું કે તે ખરગોનના બેજાપુરથી બસ ઈન્દોર તરફ જઈ રહી હતી. બસ પુરપાટ ઝડપે જતી હોવાને કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ રેલિંગ તોડીને પુલ પરથી નીચે ખાબકી હતી. નદીમાં પાણી ન હોવાથી મોટાભાગના મુસાફરોને ઈજા થઈ છે, પરંતુ 15 મુસાફરોના મોત થયા હતા. બચાવ કાર્ય ચાલુ છે. ડોંગરગાંવના રહેવાસી રાજ પાટીદારે જણાવ્યું કે મા શારદા ટ્રાવેલ્સની બસમાં 40થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ ડોંગરગાંવ અને લોનારા ગામના ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા. બસના કાચ તોડીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. ગામલોકોએ જણાવ્યું કે બસ ગામથી પાંચ મિનિટ પહેલા જ નીકળી હતી. બસ પુરપાટ ઝડપે જઈ રહી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે.