દેશમાં કોરોના કેસની સંખ્યા 5,000ને વટાવી ગઈ છે અને કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે ત્યારબાદ ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.
શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટામાંથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર હોસ્પિટલોમાં કોવિડ-19 સંબંધિત તૈયારીઓની તપાસ કરવા માટે 'મોક ડ્રીલ' કરી રહ્યું છે. આ તરફ દિલ્હીને અડીને આવેલા યુપીના નોઈડામાં કોરોના વાયરસ લોકોની ચિંતા વધારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 32 નવા કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 190 થઈ ગઈ છે. કોરોનાની ગતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં BNSની કલમ 163 લાગુ કરવામાં આવી છે, જે 7 જૂનથી 9 જૂન સુધી અમલમાં રહેશે.
કોવિડ-19 કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતમાં સક્રિય કેસની સંખ્યા 5364 છે અને છેલ્લા 24 કલાકમાં ચેપને કારણે ચાર લોકોના મોત થયા છે. સત્તાવાર સૂત્રો કહે છે કે, મોટાભાગના દર્દીઓમાં ચેપના હળવા લક્ષણો છે અને તેઓ ઘરે સારવાર લીધા પછી સ્વસ્થ થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી દેશમાં કોવિડ-19 ને કારણે 55 લોકોના મોત થયા છે. 22મે સુધીમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા 257 હતી.