જમ્મુ-કાશ્મીર : સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં 5 આતંકવાદીઓનો કર્યા ઠાર, 30 કિલો IED કર્યો જપ્ત
જમ્મુ-કાશ્મીરમાં કાઉન્ટર આતંકવાદી ઓપરેશન ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં, બડગામ અને રાજૌરીમાં બે અલગ-અલગ ઓપરેશનમાં કુલ 5 આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવ્યો હતો અને 30 કિલો IED જપ્ત કરવામાં આવ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં 36 વિદેશી આતંકવાદીઓ સહિત 136 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આજે સવારે એક શંકાસ્પદ આત્મઘાતી જૂથે આર્મી કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને પછી શરુ થયેલા એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. દુર્ભાગ્યવશ આ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોના ત્રણ જવાન શહીદ થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, હુમલામાં અન્ય બે જવાન પણ ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) મુકેશ સિંહે કહ્યું કે, "આતંકવાદીઓએ પરગલમાં આર્મી કેમ્પની ફેન્સ ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે."