હવે ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરોને ફરી ફૂડ મળશે, સરકારે સુવિધાઓ શરુ કરવાની મંજૂરી આપી
ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દરમ્યાન એરલાઇન કંપનીઓ હવે પેસેન્જર્સને ફરી ભોજન પૂરું પાડી શકશે
ઉડ્ડયન વિભાગે ઘરેલુ વિમાની સેવાઓને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ડોમેસ્ટિક ફ્લાઈટ્સ દરમ્યાન એરલાઇન કંપનીઓ હવે પેસેન્જર્સને ફરી ભોજન પૂરું પાડી શકશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયએ જણાવ્યું કે હવાઈ મુસાફરોને ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં જમવાનું પીરસવાની એરલાઇન્સને મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત મંત્રાલયે મુસાફરી દરમ્યાન હવાઈ મુસાફરોને મેગઝીન સહિત વાંચવાની અન્ય સામગ્રીઓ આપવાની પણ મંજૂરી આપી દીધી છે. કોરોના વાયરસ મહામારીને લીધે ટૂંકા અંતરની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં મુસાફરોને ખોરાક અને કોઈપણ વાંચન સામગ્રી પ્રદાન કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, એરલાઇન કંપનીઓ હવે ઘરેલુ ઉડાનોમાં યાત્રીઓને કોઇપણ પ્રકારના પ્રતિબંધ વગર જમવાનું આપી શકે છે. સાથે એ પણ જણાવ્યું કે કોવિડ પ્રોટોકોલના પાલનથી કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. એવામાં હવે યાત્રીઓને હવાઈ સફર દરમ્યાન ફૂડ, ડ્રિન્ક્સ અને મેગઝીન ફરીથી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.