શ્રીનગરમાં આતંકવાદીઑએ પોલીસ કોન્સ્ટેબલની ગોળી મારીને કરી હત્યા
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ફરી એક વખત સુરક્ષાદળોને નિશાન બનાવ્યું છે. શ્રીનગરમાં આતંકવાદીએ પોલીસ કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી હતી.
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ફરી એક વખત સુરક્ષાદળોને નિશાન બનાવ્યું છે. શ્રીનગરમાં આતંકવાદીએ પોલીસ કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી હતી. આ દરમિયાન તેમની પુત્રીને પણ ઈજા થઈ હતી. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ સૈરા વિસ્તારમાં કોન્સ્ટેબલ સૈફુલ્લાહ કાદરી પર તેમના ઘરે ગોળીબાર કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે કાદરીને એસકે આઈએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેનું મૃત્યુ થયું. અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આ પહેલા 13 મેના રોજ આતંકવાદીઓએ પુલવામા જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદ થોકરને તેમના ઘરે ગોળી મારીને હત્યા કરી હતી. તે જ સમયે, તેના એક દિવસ પહેલા, 12 મેના રોજ આતંકવાદીઓએ બડગામ જિલ્લામાં સરકારી કર્મચારી રાહુલ ભટની ઓફિસમાં ઘૂસીને હત્યા કરી હતી.
જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. સોમવારે જ જમ્મુ-કાશ્મીર પોલીસે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના પાંચ સ્થાનિક આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાંથી બે શ્રીનગર અને ત્રણ બારામુલ્લા જિલ્લામાંથી પકડાયા હતા. આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું કે બારામુલાથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓ એપ્રિલમાં બારામુલા જિલ્લામાં સરપંચની હત્યામાં સામેલ હતા.