રાજકોટ : પતંગની દોરી છે મોતનો સામાન, જાણો કેમ માનવીઓ તથા પક્ષીઓ થાય છે ઘાયલ
ઉત્તરાયણના
તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યાં છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર
ગુજરાતમાં માર્ગો પર દોરીને માંજો લગાવનારા પણ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. પતંગની
દોરીથી પક્ષીઓની સાથે માનવીઓ પણ ઘાયલ થતાં હોય છે ત્યારે જુઓ કેવી રીતે તૈયાર
કરવામાં આવે છે પતંગ ચગાવવા માટેની દોરી…..
રાજકોટમાં
ઉત્તરાયણના તહેવાર પહેલાં માંજો સુતી આપવાની હાટડીઓ અને દુકાનો ધમધમી રહી છે. પતંગ
રસિયાઓ પેચ કાપવા માટે ધારદાર દોરી તૈયાર કરાવવામાં વ્યસ્ત બની ગયાં છે. છેલ્લા ૩૨
વર્ષથી પ્રભુદેવા નામની વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે દિવાળી બાદ રાજકોટ આવી
પહોંચે છે રાજકોટમાં આવી માંજો લગાવવાનું કામ કરે છે. ત્યારે કનેક્ટ ગુજરાત સાથે
ની વાતચીતમાં તેમણે જણાવ્યું છે
કે, માંજો
બનાવવા માટે સૌપ્રથમ પલાળેલા ચોખા એટલે કે ભાત, ઇસબગુલનો પાવડર, કાળા પથ્થરનો પાવડર, કાચનો પાવડર, તજ, દરિયાઈ નમક, કલર અને મીણ સહિતની ચીજ વસ્તુઓ નો ઉપયોગ
કરવામાં આવે છે.
માંજો
બનાવવામાં કાચનો પાવડર નાખવો ફરજિયાત છે. કારણ કે જો કાચનો પાવડર નાખવામાં ન આવે
તો સામાવાળાની દોર આપવી અશક્ય બને છે. પ્રભુદેવા સાથે તેની પત્ની સહિત 13 લોકો રોજના પંદર થી સોળ કલાક માંજો લગાવી
આપવાનું કામ કરે છે. પતંગની દોરીમાં કાચનો ઉપયોગ થતો હોવાથી તેના કારણે પક્ષીઓની
સાથે માનવીઓના પણ ગળા કપાઇ જવાના બનાવો બનતાં હોય છે. રાજકોટ શહેરની વાત કરવામાં
આવે તો ગત ઉત્તરાયણમાં પતંગની દોરીથી 59 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. રાજકોટમાં
ચાઈનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરી માટે પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડી
દેવામાં આવ્યું છે પરંતુ આપણે ત્યાં દેશી પદ્ધતિથી પતંગની દોરીમાં જે માંજો
પીવડાવવામાં આવે છે તેમાં કાચ નો ઉપયોગ થતો કોઈ અટકાવતું નથી જેના કારણે દર વર્ષે
અનેક લોકો ઘાયલ થાય છે