રાજ્યસભા ચૂંટણી : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યો મત, જીતનો આશાવાદ વ્યક્ત કર્યો
રાજ્યની 4 સહિત રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજરોજ મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે રાજ્યમાં કોંગ્રેસના 2 અને ભાજપના 3 ઉમેદવાર વચ્ચે 4 બેઠક માટે ખરાખરીનો જંગ છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન મથક પહોચી મત આપ્યો હતો.
ગાંધીનગર ખાતે સવારથી યોજાનારી ચૂંટણીમાં રાજ્યના 172 ધારાસભ્યો મતદાન કરવા જઈ રહ્યા છે, ત્યારે મતદાન બપોરે 4 વાગ્યા સુધી સુધી ચાલશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યાની આસપાસ મત ગણતરી પ્રક્રિયા શરૂ થશે અને પરિણામ પણ આવી જશે. રાજ્યમાં ભાજપના 3 અને કોંગ્રેસના 2 ઉમેદવારો વચ્ચે યોજાઇ રહેલી ચૂંટણીનું આજરોજ મતદાન યોજાયું છે. પરંતુ આ ચૂંટણીમાં જંગ તો ભાજપના ત્રીજા અને અંતિમ ઉમેદવાર નરહરિ અમીન તથા કોંગ્રેસના 2 ઉમેદવારો તથા વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી વચ્ચે છે. આ રીતે જોઇએ તો આ જંગમાં પ્રતિષ્ઠાનો દાવ મૂળે કોંગ્રેસી નેતાઓ વચ્ચે જ ખેલાશે.
ગાંધીનગર સ્થિત વિધાનસભા ભવન ખાતે ફ્લો૨ નં. 4 પ૨ સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન મથક પહોચી મત આપ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મત આપી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.